Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Gujarati Poem

મૂર્ખતા એ જ મોત



ગુસ્સો તો બહુ આવે છે કહીને પળમાં ઠરી જશે,
સાથે ઉભા રહીશું કહેવાવાળા કાલે જ ફરી જશે,
કાયરોની પ્રજા તો વળી કઈ કમાલ કરી જશે?
મુર્ખાઓ તો હૃષી આમ જ જીવ્યા ને મરી જશે.



અત્યારે એવા સમાચાર આવે છે કે ઘણા ડફોળશંકરો દવાખાનામાં તોડફોડ કરે છે અને ડોક્ટરો તથા સ્ટાફને મારે છે. પરિસ્થિતિવશ ગુસ્સો આવવો સ્વાભાવિક છે પણ મોટાભાઈ સાચી વાત સાંભળવાની કે સમજવાની આપના નાના મગજની ક્ષમતા નથી. માટે ધીરજ રાખો અને આપના પણ યમદેવના નિમંત્રણની રાહ જુઓ. ના ના, કોઈ ફિકર ના કરો વડીલ, યમદેવના ત્યાં પ્રસંગ નિમિત્તે કેટલા જીવ ભેગા કરવા એની કોઈ લિમિટ નથી. અને આપ જેવા ઉલ્લુઓ માટે તો ખાસ આમંત્રણ છે. 😉

કોણે તમારી આ દશા કરી ( ઓફ કોર્સ આપની બળદબુદ્ધિ પછી જ તો ) એ તો ખબર પડતી નથી અને જે ડોક્ટરો અને અન્ય સ્ટાફ જીવના જોખમે આપની સેવા કરે છે એના પગે પડવાને બદલે આવું હીન કૃત્ય કરો છો. ચરણામૃત તમારા ચંબુ જેવા રાજકીય અને ધાર્મિક સ્વામી સાધુઓના નહિ પણ આ ડોક્ટરોના પીવો. કોઈ કહેશે કે અરે એ તો પૈસા માટે કરે છે. અરે વડીલ એવો કોઈ માઈનો લાલ આપના હલકટ કુળમાંથી ગોતી લાવો કે જે ને ખબરહોય કે સામે મોત છે પણ પૈસા માટે આવી પરિસ્થિતિમાં કામ કરે.

હવે મુખ્ય મુદ્દા પર આવીએ. પૂરતી તબીબી સુવિધાઓ નથી એના માટે કોણ જવાબદાર છે? કોન બનેગા કરોડપતિ કરતા પણ વધુ રૂપિયાનો સવાલ છે, જો આપને એક જીવની શું કિંમત છે એ ખબર હોય તો. જવાબ હું નહિ આપું. જો આપના સ્નેહીજનો અને પોતાનો જીવ વહાલો હોય તો ઘેર બેઠા આટલું હોમવર્ક કરજો.

આજે ઘેર ઘેર કોઈ કાં તો અસહ્ય રીતે બીમાર છે અથવાતો કોઈ એ જીવ ગુમાવ્યો છે. છતાં પણ જો આપની બુદ્ધિ ના ચાલતી હોય તો ધન્ય છે આપના વોટ્સએપિયા જ્ઞાનને. આવી નિર્દોષ લોકોની લાશો પર તાગડધિન્ના કરનારની કોઈ બુદ્ધિમાન અને બળવાન સમાજ શું હાલત કરે એ તમને ડફોળો અને કાયરો ને તો ખબર નહિ જ પડે.

એક ખાસ સ્પષ્ટતા કે હું કોઈ પક્ષ કે વ્યક્તિના વિરોધ કે સમર્થનમાં નથી. હું ફક્ત અને ફક્ત અજ્ઞાન અને કાયરતાનો વિરોધી છું અને સત્ય, શિવ અને સુંદરતા નો ચાહક અને સમર્થક છું. એટલે મારી વાતોને કોઈ રાજકીય રંગ આપવો નહિ. કારણ કે મને તમારી બુદ્ધિક્ષમતા ખબર છે અને જેવી મતિ એવી ગતિ. હું સ્પષ્ટ કહીશ કે અત્યારે 100 મરે છે એમાંથી 99 નો મને કોઈ શોક નથી. ફક્ત એક નિર્દોષ અને જ્ઞાની ઓછો થાય એનો ગમ છે. લલ્લુ લોકોને લાડ લડાવવાના તો સમજણ આવી ત્યારથી જ બંધ કરી દીધા છે. હું કોઈ ડાયરાનો સસ્તો કલાકાર નથી કે લોકોને  સારું લગાડવા લખીશ કે બોલીશ. જ્ઞાન અને સ્વમાન એળે મૂકીને સાચી અને હિતકારી વાત ટાળવાની કે નિર્માલ્ય બનીને જીવવાની કળા મને આવડતી નથી.

કોઈ કહેશે કે યાર આવી ‘ગંભીર’ પરિસ્થિતિમાં તો રડમસ બનો. એમને ખેદ સાથે ( પણ સસ્મિત ) કહેવાનું કે હું આવેલી પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર, કે નિર્ભયતા, ધૈર્ય, બુદ્ધિ અને સામર્થ્ય સાથે પ્રતિકાર કરવામાં માનું છું. હા, અમરપટ્ટો લખાવીને તો હું નથી આવ્યો એટલે આમાં ડફોળ પ્રજાના વાંકે મારી પણ વિકેટ ગમેત્યારે પડી શકે છે. તો શું મોજીલો સ્વભાવ છોડી દેવો? હું પણ જો સામાન્ય માણસની જેમ દુઃખી થાઉં તો મારા ગુરુજી શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનને લાંછન લાગે. માટે આપણને તો બંને બાજુ જલસા છે. જો જીવીશું તો થોડા તો લલ્લુઓ ઓછા હશે એની હાશ છે, બાકી સ્વર્ગમાં તો આનંદ જ આનંદ છે ભાઈ. ના ના તમારે મુર્ખાઓ એ તો પાછા નાગાબાવા બનીને અહીં કુમ્ભમાં જ આવવાનું છે… 😉

Category : Gujarati Poem

રાજકારણી રંગલો



એક રંગલો છે રંગભૂમિનો ખરો કલાકાર,
એની લીલાનો જનતા કદી ના પામે પાર,

સત્તાભૂખ  એ  જ એના સર્વ કર્મોનો સાર,
ઠેર ઠેર મીડિયામાં એના ગપ્પાનો પ્રચાર,

એક આપીને દસ લેવાનો એનો વ્યવહાર,
લલ્લુ જનતા જાય લુંટાતી બનીને લાચાર,

ઉલ્લુ પ્રજા સુજાવે છે હાસ્યાપદ ઉપચાર,
જમણાને તો બહુ માર્યો હવે ડાબે તું માર,

ગુંડા-લુખ્ખાઓ પર પાર્ટી કરતી ઉપકાર,
બેવકૂફોની ટોળીથી જ એ ચલાવે સરકાર,

એના તોતિંગ તાયફાનો પ્રજા પર બહુ ભાર,
મૂર્ખાઓને મન આ જ તો છે ધરમની સરકાર,

કૃષ્ણ કહે, હૃષી રંગલાઓનો અહીં નથી પાર,
વાઢવા બેસું તો બુઠ્ઠી પડે આ સુદર્શનની ધાર.



બૉલીવુડના કલાકારો પણ દિલ્લીની જાત્રાએ જાય છે કરણકે આ નટનટીઓના ઇષ્ટદેવ ત્યાં શાક્ષાત બિરાજે છે. વર્ષોથી એકના એક જ ગપ્પાંવાળા ડાયલોગ બોલીને બહુમતી કેમ મેળવાય એ કલા એમને હસ્તગત છે.

ધૃતરાષ્ટ્રની સત્તા લોલુપતાએ તો પોતાના જ વંશનો અને સાથે સાથે લખો નિર્દોષોનો નાશ નોતર્યો. કંસે તો સત્તા ટકાવવા વ્રજના અગણિત બાળકોના જીવ લીધા. આખો દેશ આ કથાઓ જાણતો હોવા છતાં કોઈ બોધ લેતો નથી. એ જ સાબિતી છે કે મનુષ્ય જાણે છે ઘણું પણ આચરણ અને બોધ વગર બધું વ્યર્થ છે.

ઉપરોક્ત ઉદાહરણ અત્યારના સત્તા સ્વાર્થી રાજકારણીઓને બખૂબી લાગુ પડે છે. દેશમાં લખો લોકો મરે છે પણ અવતારપુરુષ તો અન્ય પ્રાંતોમાં ધર્મધજા લહેરાવવામાં મશગુલ છે. અરે ભાઈ સત્તા લઈને પણ તારે કરવું છે શું એ તો કહે? દિલ્લીમાં પ્રવર્તમાન સરકાર કોઈ સારા કામ ના કરી શકે એ માટે રાતોરાત કાયદો લાવીને લ્યુટેનન્ટ ગવર્નરની સત્તા વધારીને કેન્દ્ર સરકારે એ તો સાબિત કરી જ દીધું છે કે, “હું સારું તો કરતો નથી પણ કોઈને કરવા દેતો પણ નથી” એ જ સૂત્ર સાથે અમે સબકા વિનાશ હમારા વિકાસના એક માત્ર ધ્યેય માટે કાર્યરત છે.

એક તસુભાર પણ સત્તા જતી ના રહે એની બીક આ અવતારપુરુષને એટલી બધી છે કે એ બધી જગાએ એવા જ મંત્રીઓની નિમણૂંક કરે છે કે એ ફક્ત એમના ધાવણ પર જ નભતા હોય. અત્યારે જયારે એવા સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મંત્રીઓની જરૂર છે કે જે જનસેવામાં ત્વરિત નિર્ણયો લઇ શકે ત્યારે અહીં ફક્ત અબુધ ધાવતા બાળકો જ રમ્યા કરે છે.   

અત્યારે થતા મોટાભાગના મોત માટે સરકારની અણઆવડત જવાબદાર છે. તમને જો એવું લાગતું હોય કે આ કોરોના તો વૈશ્વિક મહામારી છે અને થોડા સમય પછી જતી રહેશે પછી તો જલસા જ છે. તો હે અલ્પબુદ્ધિ વડીલ આ વાત કોતરી રાખો કે આપના દાદાશ્રી અને પિતાશ્રી પણ આવું જ વિચારતા હતા અને એમની વિકેટ પડી ગઈ છે. જો તમે અત્યારે જેમ તેમ બચી જશો અને આવી જ જડતા જાળવી રાખશો તો નજીકના ભવિષ્યમાં તમે પણ પૂરતી તબીબી સુવિધાના અભાવે કે આપના માનીતા મંત્રીશ્રીની અણઆવડતના પ્રભાવે રન આઉટ થશો. વધુમાં આપનો કુલદીપક કે દીપિકા પણ કયા વાવાઝોડામાં હોલવાઈ જશે એની ખબર પણ નહિ પડે. માટે જ કહું છું કે આપના પૂર્વજોએ કરેલી ભૂલોને સુધારો અને એક સુગઠિત સુશાશનયુક્ત સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આજથી જ પાયો નાખો. નહીંતર જો કોરોનામુકત હોવ તો અભણ, લુખ્ખા અને ભ્રષ્ટાચારીઓને વહીવટ સોંપવાનો સ્વાદ તો આપ ચાખી જ રહ્યા છો.


અર્જુન : હે કેશવ, આ પ્રજા કહે છે કે કોઈ વિકલ્પ નથી. શું એ વાત સાચી છે?

શ્રીકૃષ્ણ ( સસ્મિત ઉત્તર આપે છે ) : પાર્થ, વિકલ્પો તો હંમેશા હતા, છે, અને રહેશે. પણ મનુષ્યની મૂર્ખતા દ્વારા એ ઢંકાયેલા રહે છે.

અર્જુન : વાસુદેવ, મારુ મન તો આ અકારણ ઢળતી લાશોના ઢગલા જોઈને વ્યથિત થઇ રહ્યું છે.

શ્રીકૃષ્ણઃ એમના કર્મનોનું ફળ એમને ભોગવવા દે પાર્થ. મેં એમને બુદ્ધિ આપી જ છે. જો ઉદ્ધાર કરવો હશે તો વાપરશે…


Category : Gujarati Poem , Thoughts in Gujarati

દેશનું ભવિષ્ય



ભૂતોને ભજીને જો તમે ભગવાન કરો,
પછી ના કહો ઈશ્વરને કે કલ્યાણ કરો,
મૂર્ખાઓને તો એ જ કહેવાનું છે હૃષી,
મોતને માથે બેસાડયું છે તો હવે મરો.


મિત્રો,

ભાઈઓ ઔર બહેનો,

યે અનપઢ, ગંવાર ઔર ગુંડો કો સંસદમેં કિસને બિઠાયા? આપને.

હમ જૈસે જુઠે, ભ્રષ્ટ ઔર ગપ્પીદાસો કે હાથોંમેં દેશ કો કિસને થમાયા? આપને.

ખુદ અંધભક્ત બનકે હમે ભગવાન કિસને બનાયા? આપને.

અબ જબ દેશકે સાથ ગદ્દારી કરકે, આપની માં જૈસી જન્મભૂમિ કો હમારે જૈસે હવસખોરો કે હાથોંમેં આપને ઇતને પ્યારસે દે દિયા હૈ, તો બોલો મેરે પ્યારે દેશવાસીઓ, આપકો આપને પાપોકી સજા મિલની ચાહિયે કી નહિ મિલની ચાહિયે? 😉

ચાલો આ તો થઇ એક રાજકારણીની મનની વાત. પણ વાત તો સાચી છે, શું કહો છો મોટાભાઈ? 😉

ખરેખર તો આ દેશના લોકો દયાને પાત્ર નથી પણ હાંસી ને પાત્ર છે. મોટા ભાગનાને અક્કલ નથી એટલે આટલી સીધી વાત સમજાતી નથી કે આપણી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. ગરીબો રડારોળ કરે છે કે એમના દૂખ કોઈ દૂર નથી કરતુ, પરંતુ ચૂંટણી વખતે બે ચાર વાર દારૂ અને ચવાણું ખાઈને એ કોને વોટ આપે છે? ત્યારે તો કોઈ સજ્જનને પૂછવા નથી જતા કે મોટાભાઈ અમને ખબર નથી પડતી પણ આપ સલાહ આપો કે અમારા કલ્યાણ માટે કોને વોટ આપીએ. બીજો આખો મૂરખ વર્ગ ફક્ત ધર્મ અને જાતિ ને જ જુએ છે. તમારા ધરમભાઈઓ જ પછી તમારું ધોતિયુ ખેંચીને ખસી કરે છે અને નાતીવાળા જ ચૂંટાયા પછી તમે આજીવન ભૂખ્યા નાગા રહો એની પુરેપુરી તકેદારી રાખે છે.

તમે નહિ તો તમારો કોઈ લાડકો કે સગો, આજે જો કોરોનાથી બચી જશો તો કાલે એ કોઈ રોડના ખાડામાં પડી મરશે. કોઈ રખડતી ગાયોની હડફેટે સ્વર્ગવાસી થશે. કોઈ તબીબી સુવિધાના અભાવે જશે કે પછી એ મેળવવા માટે જરૂરી આવક માટે યોગ્ય રોજગાર ના મળવાથી જીવન ટૂંકાવશે. શૂરવીર સૈનિકો તો આમતેમ વગર કારણે શહીદ થયા જ કરે છે. કોઈ ગંદકી જન્ય રોગોને શરણે થશે અને કોઈ ખાદ્ય પદાર્થોની ભેળસેળના ભરડામાં જશે.

પ્રધાનસેવક તો મોર રમાડવામાં જ મશગુલ છે માટે મોત સામે તો તમારે જ લડવું પડશે. આમ ભલે રાજકારણીઓને લોકો ગપ્પીદાસ કહેતા હોય પણ એક વાત તો એમણે સ્પષ્ટ જ કહી છે કે અમારો ઉદ્દેશ ફક્ત વિરોધપક્ષ મુક્ત ભારત કરવાનો છે, ભ્રષ્ટાચાર કે બળાત્કાર મુક્ત કરવાનો નહિ. અને શિક્ષણ તો અમે આપવા માંગતા જ નથી. એટલે તો સરકારી શાળાઓ બંધ કરી છે. શિક્ષિત બેરોજગાર મુક્ત ભારત માટે જ તો… 😉

હવે જો તમે મંદિરોમાં જઈને રડતા હોવ કે હે ઈશ્વર મદદ કરો તો એ પ્રભુ વતી આ પ્રભુસેવકનો એક નમ્ર સંદેશો છે કે, બેટા આ જ તો તારા કર્મોનું ફળ છે. 😉

વિકાસ ક્યાં છે એ છોડો અને અત્યારે વેન્ટિલેટર શોધો… 😉

Category : Gujarati Poem , Videos In Gujarati

મને ગમતો ઝંઝાવાત



નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,
પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,
આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

પવનના સથવારે તને પાનો ચઢે,
દુષ્ટ દરિયા તું કેમ ના છાનો પડે,
શેનો તને આટલો ઘુઘવાટ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

ખજાનાતો દિલમાં મારા પણ અમાપ છે,
મોતી થકી જ દરિયામાં પડું, ના એવી કોઈ વાત છે,
બસ તારા વિકરાળ મોજાને મારે આજ દેવી માત છે,
જોઈલે આ ભુજાઓ સામે તારી ભરતીની શી વિસાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

લાવ તારા ઊંડાણમાં ઉતરું,
અંધારપટમાં અજવાળા ચીતરું,
આજ તું કેમ છુપાવીશ, વણઉકેલ્યો તારો જે ભાગ છે,
રોકી શકે તો રોક, આજ મેળવવો મારે તારો તાગ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

કૃષ્ણ જેમ મથુરા મેલી દ્વારકા ગયા,
આટ-આટલી ધરા છોડી વિષ્ણુ ક્ષીરસાગરમાં રહ્યા,
તો આપણે પણ કિનારો શોધવાની ક્યાં વાત છે,
‘હૃષી’, બસ મને ગમતો આ ઝંઝાવાત છે…



મચ્છર મારી મારીને કોઈ મહાન બનતું નથી. વળી, મહાપરાક્રમી બનાવા માટે એટલું જ તપ કરવું પડે છે. વ્યક્તિનો આંતરિક સ્વભાવ, સંસ્કાર અને પોતાની જાતને ઉન્નત કરવા આદરેલા પ્રયત્નોના ફળ સ્વરૂપ જ એની ગતિ હોય છે.

એક સંસ્કૃત સુભાષિત કહે છે કે, જયારે વનમાં અંધારી અને ધોધમાર વરસાદી રાતે ભયંકર વીજળીના કડાકા થાય છે ત્યારે બીકણ શિયાળવા રડતા રડતા ઘરમાં ઘુસી જાય છે. પરંતુ સ્વભાવથી જ વનરાજ એવો સિંહ, જાણે એ વીજળીના કડાકા એને પડકારી રહ્યા હોય એમ, પોતાની ગુફામાંથી બહાર આવીને આકાશ સામે એટલી જ ભયંકર ગર્જના કરે છે. 

એ જ રીતે મનુષ્ય સામે સૌથી મોટો પડકાર એના મનને જીતવાનો છે. જે મનને આધીન છે એ હંમેશા ગુલામ છે અને જેણે મનને વશમાં કરી લીધું છે એ સ્વભાવે જ સર્વસ્વનો સ્વામી છે. સમુદ્રના વિકરાળ મોજા જેવા પરિસ્થિતિઓના પડકારો અને પ્રલોભનો મનુષ્યના મનને વિચલિત કર્યાકરે છે. જે આ વિકટ સમુદ્રને પાર કરી શકે છે એ જ ખરેખર કઈંક પામી શકે છે. ઈશ્વર એ કહેવાય છે કે છે સમુદ્રમંથન  ( શાસ્ત્રોમાં આવતા આ બધા એક જાતના રૂપકો છે, પણ મૂર્ખ પ્રજા એનો શાબ્દિક અર્થ શોધે છે) અર્થાત પરિસ્થિતિ જન્ય પ્રાપ્ત થતા વિષ અને લક્ષ્મીને સમાનભાવે સ્વીકારે છે અને એમના મન એક રતીભાર પણ ક્ષોભ કે ગર્વ પામતા નથી.

ઇહૈવ તૈર્જિત: સર્ગો  યેષાં સામ્યે સ્થિતં મનઃ||
(ગીતા – 5.19)

અર્થાત, જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સમસ્ત સંસાર જીતી લીધો છ…

આ કવિતા આવા જ વિરલ વ્યક્તિઓને સમર્પિત છે જેમને મન પડકારોને પરાસ્ત કરાવવામાં એક મોજ છે. રોતડ અને માયકાંગલા લોકો મને ક્યારેય ગમ્યાં નથી. આવા જ સમુદ્ર જેવા ગહન પણ સાથે સાથે અસ્તિત્વના આનંદની મોજ ના હિલોળા લેતા લોકોનો સંગ જ મને ગમે છે.

જવાની જાણે એક શક્તિ આસમાની…
ગગનમાં ઘૂમતી જાણે ભવાની…