Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Gujarati Poem

જન્માષ્ટમી



વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,
અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,
જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,
તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું?


ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ કરું,
આદત જ ક્યાં છે મને કે ગોળગોળ વાત કરું,
જાતને ભૂલવા હૃષી સક્ષમ હોવ તો કહેજો મને,
પળમાંજ પરમેશ્વરને ચર્તુભુજ રૂપે સાક્ષાત કરું.



ગત સપ્તાહે આંશિક ભારત ભ્રમણ કરતાં કરતાં મારે વૃંદાવન જવાનું થયું. આમ તો કહેવાતા પવિત્ર ધામોને હું દૂરથી જ પ્રણામ કરું છું પણ આ કેસમાં ગયા વગર છૂટકો નહોતો. વળી મનમાં એમ પણ હતું કે આપણા પરમ ગુરુ અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભૂતકાળની લીલાભૂમિ લગભગ બે દસકા પછી જોઈએ તો ખરા કે કેવી પરિસ્થિતિમાં છે. 

ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાનો ત્રિવેણી સંગમ આવતાની સાથે જ અણસાર આવી ગયો કે ‘પવિત્ર ધામ’ નજીકમાં જ હશે. જે મિત્ર અને એના માતાપિતા સાથે આ યાત્રા હતી એ આમ તો મારા વિચારોથી સુપરિચિત છે જ પણ તેમ છતાં મેં સ્પષ્ટ કરી દીધું હતું કે કાર પાર્ક થયા પછી ‘દર્શનાર્થીઓ’ એમના રસ્તે અને હું મારા રસ્તે. વૃંદાવનની ગલીઓમાં ડગલે ને પગલે ગાંધીછાપના વિનિમયથી કરાવતા VIP દર્શનરૂપી કન્યાઓના માંગા એક વિરક્ત સાધુની જેમ ઠુકરાવતો, જાણે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા હોય એને છાણથી ઢાંકીને પોતાનો પ્રેમ દર્શાવવા આતુર બનેલી  અને શ્રીકૃષ્ણના ગમન બાદ સુધબુધ ખોઈ બેઠેલી ગોપીઓની જેમ રખડતી બનેલી ગાયોથી મારી જાતને બચાવતો બચાવતો હું વસુદેવની જેમ મારા હૃદયના ટોપલામાં રાખેલા શ્રીકૃષ્ણ સાથે આગળ વધી રહ્યો હતો.

તે દરમ્યાન મિત્ર કુટુંબની ધીરજ અને સહનશક્તિ ખૂટતાં, એમનાથી થયેલા VIP દર્શનના આશીર્વાદના સ્વીકારરૂપી સંયમચ્યુતના સમાચાર મળ્યા. સાથી સૈનિકોના પક્ષપલટાથી મનમાં થોડું દૂખ તો થયું પણ ઈશ્વરને ગમ્યું તે ખરું અને થયું કે વિશ્વામિત્ર પણ જો મેનકાથી ચલિત થયા પછી પણ બ્રહ્મપદ પામી શકે તો મારા સાથીઓ પણ પછી પ્રાયશ્ચિત કરી લેશે અને મોક્ષમાર્ગે આગળ વધશે.

મંદિર જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ (મૂર્ખ)માનવ મહેરામણ આગળના રસ્તાને ઘેરી વળ્યું હતું. વસુદેવને યમુનાનું જળ જેમ ગળાથી ઉપર વધીને માથા સુધી પહોંચતા જેવી થઇ હશે એવી જ રૂંધામણ મને શરુ થઇ. પણ શ્રીકૃષ્ણને કૃપાસાગર એમ થોડા કીધા છે? જેમ બાળકૃષ્ણે પિતા વસુદેવ માથેના ટોપલામાંથી પોતાનો પગ બહાર કાઢીને જેવો પોતાનો અંગુઠો યમુનાની તોફાની ધારામાં ઝબોળ્યો કે તુરત જ ભગવાનના ચરણસ્પર્શથી ધન્ય થયેલી યમુનાએ વસુદેવને માર્ગ કરી આપ્યો , તેમ કોઈ ચમત્કાર થાય એની હું રાહ જોતો હતો પણ તેવામાં જ એક આકાશવાણી થઇ જે કદાચ મને એકલાને જ સંભળાઈ. આકાશવાણી બોલી ઉઠી કે હે હૃષી, એ તો દેવી યમુના હતી કે માર્ગ આપ્યો, પણ આ જડ-સમુદાય તો પ્રભુ સ્વયં આવીને ધક્કા મારે તો પણ નહિ હટે , માટે એક જ્ઞાની ભક્ત થઈને આવી ઈચ્છા કરીને પ્રભુને ધર્મસંકટમાં ના મુકીશ.

જેવી ઈશ્વર ઈચ્છા સમજીને મેં કદમ પાછા વળ્યાં ત્યાં જ ચમત્કાર થયો. અચાનક જ એક બૂકસ્ટોર પ્રગટ થયો અને મારે બ્રહ્મસૂત્ર અને ગીતાભાસ્યો વિષે જે પુસ્તકો ઘણા સમયથી જોઈતા હતા તે મળ્યા. વળી, શ્રીવિષ્ણુ અને શંકર જોડીમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ, બે સાધુઓ પણ ત્યાં આવ્યા અને મારા હાથમાંના પુસ્તકો જોઈને થોડી ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. બસ આ જ્ઞાન પ્રસાદ લઈને હું પાછો કાર પાર્કિંગ એરિયામાં આવ્યો. જેવા અમે કારમાં બેઢા કે મિત્રની મમ્મીએ ડ્રાઈવરને પ્રશ્ન કર્યો કે, “તમે પણ દર્શન કર્યા કે નહિ?”. ડ્રાઈવરે જવાબ આપ્યો,”બહેનજી, હું તો અહીંયા આવતો જતો રહું છું એટલે તમને દર્શન થયા એટલે બસ. વળી, મારા માટે તો મારા માતાપિતા જ તીર્થ સમાન છે એટલે બીજા તીર્થોના દર્શન થાય ના થાય એનો કોઈ ગમ નથી….”. આ જવાબ સાંભળીને મારાથી પ્રસન્નતાથી હસી પડાયું ને થયું કે આ જ તો ભગવાન શ્રીકૃષ્ણની સ્ટાઇલ છે કે હંમેશા છેલ્લા બોલે સિક્સર મારવી …. 😉

ઘરે આવીને જયારે બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણ સાથે હું ચા-કોફી પીતો હતો ત્યારે મેં આ વાત છેડી. તો ઈશ્વર હસતા હસતા બોલ્યા, એમ કાંઈ હું વૃંદાવન છોડીને દ્વારકા આવ્યો હતો. અને લલ્લુ લોકોએ ત્યાં પણ હેરાન કરવાનું ના છોડ્યું તો દ્વારકા પણ મારે સમુદ્રમાં અદ્રશ્ય કરવી પડી… છેવટે મેં પૂછ્યું કે આ બિર્થડેમાં લોકો એવું શું કરે તો આપને ગમશે. પ્રભુનો સસ્મિત પ્રત્યુત્તર હતો કે લોકો પોતાના નાનકડા દીકરા દીકરીઓને કાનુડો ને રાધાના વાઘા પહેરાવે છે એ તો બધું ઠીક છે પણ જો એની સાથે મેં આપેલા ગીતાજ્ઞાનના બે શબ્દો પણ સંભળાવતા અને સમજાવતા હોય તો સારું. કારણકે એના વગર અત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈક માટે કપડાં થકીજ બનેલા કાનૂડાઓ મોટા થઈને કંસ જેવા કપૂત અને રાધાઓ રોતડ ને વેવલી બનીને રહી જશે… 🙂


Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)