Category : Gujarati Poem

રામનવમી



શ્રીરામજી  હવે આપ કૃપા કરી મર્યાદા છોડો,
ઉત્તર દિશામાં સંસદ તરફ અમોઘ શસ્ત્ર છોડો,

લંકાનો  હવે કોઈ ભય  નથી  દિલ્લી તરફ દોડો,
જનસમુદાય પરથી જડભરતોનું આધિપત્ય તોડો,

ખર અને દૂષણ તો આજે બન્યા છે ભારત વિભૂષણ,
રાજનેતાઓ  સામે  રાવણનો  અત્યાચાર પડે મોળો,

માનવ કરતા વાનર ભલો, પણ એમ જ આશા ના છોડો,
રામરાજ્યમાં પણ રાજનીતિ છે, ભલે વાત મારી વખોડો,

રામનવમીને  યોગ્ય  અવસર સમજી હવે યુદ્ધ રથ જોડો,
જનહિતમાં ત્વરા કરજો ભલે આ ભક્તનો સંદેશો છે મોડો.



હનુમાનજીએ શ્રીરામને પૂછ્યું,” પ્રભુ, અયોધ્યામાં આપના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એના દર્શનની કામના છે. તો આપના રામાવતારના જન્મદિન નિમિત્તે પૃથ્વીલોકના પ્રવાસની અનુમતિ આપો.”

શ્રીરામ ટોણો મારે છે, “હનુમાન આપ તો ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ’ છો અને આવી મતિ કેમ થઇ કે અનુચિત કામ માટે અનુમતિ માંગો છો? ત્યાં જઈને શું જોશો જે મારા સહવાસમાં નથી? ” 😉

હનુમાન સમજી જાય છે કે ભગવાન હજુ પણ પૃથ્વીલોક બાબતે ઉત્સુક નથી. ત્યાંજ નારદમુનિ પ્રગટ થાય છે અને હનુમાનજીને કહે છે કે આપ પણ સમજી નથી શકતા કે પ્રભુ શ્રીરામ સ્વયં ક્યારેય પોતાના મંદિરના દર્શનની પરવાનગી ના આપે. એ તો મર્યાદા પુરુષ છે. માટે આપ જેવા ભક્તે તો અવશ્ય જવું જોઈએ. વળી એમ પણ સલાહ આપે છે કે, અયોધ્યાની ગલીઓમાં પગપાળા ના જતા, રખડતી શ્વાન સેનાનો ખુબજ ત્રાસ છે, માટે આકાશમાર્ગ જ ઉચિત છે.

હનુમાનજી માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ચોતરફ થતા જય શ્રીરામના નાદથી હનુમાનજીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે અને તેઓ પણ એ હર્ષનાદમાં જોડાઈ જાય છે.

હનુમાનને આટલા ઉત્સાહથી જય શ્રીરામ બોલતા સાંભળીને બાજુમાં ઉભેલા ભાઈ કહે છે કે ભાઈ નાહક આટલી ઉર્જા વ્યય ના કરો, ઉદઘાટનવાળા પ્રધાનનું પ્લેન મોડું છે અને હજી તો બીજા ચાર કલાક બોલવાનું છે. હનુમાન ચકિત થઈને કહે છે કે ચાર કલાક શું ચાર યુગ સુધી બોલું તો પણ ઓછું છે. પેલા ભાઈને લાગે છે કે આમની ચસકી ગઈ લાગે છે. કુતુહલવશ પૂછે છે કે,”કેટલાનો વાયદો કર્યો છે? ડબલ મળવાના છે કે શું તે આટલા જોશથી બરાડો છો?” જયારે હનુમાન વિસ્મયથી જુએ છે ત્યારે એ કહે છે કે,”તમારો ઉત્સાહ જોઈને તો લાગે છે કે તલાટીઓએ મફતમાં બોલાવેલા શિક્ષક તો તમે નથી. હટ્ટાકટ્ટા છો તો કોઈ ભાડુતી જ લાગો છો. બાકી આમારે શિક્ષકોએ તો આ રાજકારણીઓ જે તાયફામાં તેડાવે ત્યાં જવું પડે છે.” હનુમાનજી કાંઈ ઝાઝુ સમજ્યા નઈ પણ મનોમન એમ વિચારીને આગળ વધ્યા કે વાહ શ્રીરામના જન્મોત્સવમાં શિક્ષકો-આચાર્યો પણ આવી પહોંચ્યા છે, ધન્ય છે આ રાજ્ય અને નસીબદાર છે તેમના વિદ્યાર્થીઓ.

આગળ જતા તેમણે કેટલાક યુવકોને પથ્થર વીણતાં જોયા. કોઈ દિવ્ય સેતુનું નિર્માણકાર્ય થઇ રહ્યું લાગે છે એમ વિચારીને હનુમાને પણ આ શ્રમયજ્ઞમાં જોડાવાની અનુમતિ માંગી. તો એક વિચિત્ર લગતા વ્યક્તિએ પૂછ્યું કે,”અલ્યા કઈ જેલમાંથી આવ્યો છે? ભાગેડુ-ફરાર કે જામીન પર છે? જો પકડાય તો પાર્ટીની કોઈ જવાબદારી નથી. શું સમજ્યો? “. એટલામાં જ કોઈ બાજુમાં ઉભેલા વ્યક્તિએ કહ્યું કે,” સાહેબ, આને આપણા દળમાં સામેલ કરીલો. જે રીતે રામ નામ બોલતો હતો એ જોઈને તો પુરેપુરો બ્રેઇનવોશ લાગે છે. રમખાણોમાં આવા જ ઝનૂની જોઈએ.”

ત્યાંજ અચાનક કોઈ કોલાહલ શરુ થયો અને ટોળું દોડ્યું. હનુમાનજી પાછળ જઈને જુએ છે તો થોડાક યુવકો કોઈ દુકાનને આગ લગાડી રહ્યા છે અને કોઈકને ગડદાપાટુથી મારી રહ્યા છે. હનુમાનને હેરતની વાત તો એ લાગી એ લોકો દુકાનદારોને મારતી વખતે એમનું નામ કેમ લેતા હતા…

નારદમુનિ આ બધો ખેલ ઉપરથી જુએ છે…

અને સાચા રામભક્તો પરિસ્થિતિની વિવશતાની લીધે આવા ખેલ અહીં રહીને રોજ જુએ છે…. જય શ્રીરામ 🙂


Category : Gujarati Poem

ફિતૂર



ચહેરા પર જેના કોઈ નૂર નથી,
સૌંદર્ય  હશે  પણ એ હૂર નથી,

સુંદર હશે પણ જો એ શૂર નથી,
ભોટ છે એ નર જે ભરપૂર નથી,

નદી હશે પણ જો કોઈ પૂર નથી,
ઉભરા વગર  કોઈ મશહૂર નથી,

પામવો દુષ્કર હશે પણ દૂર નથી,
ઈશ્વર તો પ્રેમ છે, એ નિષ્ઠુર નથી,

કુદરત કાતિલ  હશે પણ ક્રૂર નથી,
પાપ-પુણ્યનો એ કોઈ દસ્તૂર નથી,

હૃષીનું જ્ઞાન લેવામાં કોઈ ફિતૂર નથી,
પણ શબ્દો વાંચવા કોઈ મજબૂર નથી.



ફિતૂર – દોષ , રાજદ્રોહ
દસ્તૂર – ધર્મગુરુ , રિવાજ ( પણ આ અર્થ લેવાનો નથી )

લોકો કહે છે કે રામ અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા અને અયોધ્યા જળહળી ઉઠી. એ જ પરંપરા હેઠળ દિવાળી ઉજવાય છે. ઘટના સાચી હશે પણ અર્થઘટન સાથે હું સંમત નથી. મારા મતે તો એમ કહેવું જોઈએ કે રામના આગમનથી અયોધ્યા જળહળી ઉઠી. શું ભલા લખો કરોડો દીવડાઓ સૂર્યનો પથ અજવાળી શકે? ભગવાન રામ એ જ કોટી કોટી સૂર્યોનું તેજ છે. જનસમુદાય ફક્ત એના ગુણ અને ચારિત્રના તેજનું પ્રતિબીંબ જ જો હૃદયમાં ધરે તો પણ રોજ દિવાળી થાય. 

જયારે અશોકવાટિકામાં રાવણે સીતાને કહ્યું કે, હું વચન આપું છું કે મંદોદરી સહીત બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, શરત એ કે તું ફક્ત મારી સામે એક વાર જુવે. જવાબમાં સીતા કહે છે કે,

સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કી નલિની કરઈ બિકાસા … ( રામચરિતમાનસ )
અર્થાત – હે દસાનન, શું કોઈ કમળ ક્યારેય આગિયાના પ્રકાશથી ખીલે છે? (કહેવાનો મતલબ કે કમળ તો ફક્ત સૂર્યપ્રકાશમાં જ ખીલે)

પછી તુલસીદાસજી કહે છે કે..

આપુહિ સુની ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી અસિ બોલા અતિ ખિસિઆન…
અર્થાત – પછી (સીતાના મોઢે ) પોતાને આગિયો અને રામને સૂર્ય સમાન, જેવા કઠોર વચન સાંભળીને રાવણ તલવાર કાઢીને ખિજાઈને બોલ્યો…

સીતાના ઉત્તરમાં પોતાના પ્રેમી-પતિના સામર્થ્ય અને બીજા અધૂરા વ્યક્તિની ઉણપની સરખામણી કરતો કેવો અદભુત કટાક્ષ છે. Isn’t it so romantic? 😉

બાહ્ય પ્રકાશ અંદરના અંધારાને ભગાડી નથી શકતો. આકર્ષક બનવા માટે પહેલાં તો ભરેલા હોવું જરૂરી છે અને પછી આનંદ માટે ઉભરાતા હોવું જરૂરી છે. અને આ પછી પણ શક્તિ બચી હોય અને રેલાતા રહો તો વિકાસ થાય અને નવી નવી જગાઓ સુધી પહોંચાય. ખાલી લોકો જ બીજાના પ્રેમ, સહારા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. જો આ દિવાળીના તહેવારમાં નવા વર્ષે પોતાની જાતને ખરેખર કશાથી ભરવી હોય તો એ ભગવાન શ્રીરામથી વિશેષ શું હોઈ શકે? જો એમ કરી શકો તો પછી પોતાના વ્યક્તિત્વની અધૂરપને ફિલ્ટરવાળી સેલ્ફીઓના લાઈકથી ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરવાની, કે પોતાની સત્તા-સંપત્તિથી તમારા જેવાજ બીજા અધૂરા મનુષ્યોને આંજીને સોસીયલ મીડિયામાં વાહવાહીની લાઇક્સની જરૂર નહિ પડે. 😉 😉

જય શ્રીરામ. 🙂

Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉

Category : Gujarati Poem

Dashera



દશેરા


રામ નામે પથ્થર તરે પણ ના સુધરે અહીં મનુષ,
મૂર્ખ મનુજ માટે જ ધારણ કરે શ્રીરામ પણ ધનુષ


રામરાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં ફક્ત બે જ વિકલ્પ હોય – ( જાત ) સુધારો અથવા શિરચ્છેદ. વચ્ચેના કોઈ સેટિંગને રામરાજ્યમાં અવકાશ નથી.

પ્રભુ શ્રીરામને જયારે લાગ્યું કે દસ માંથા હોવા છતાં જો લંકાપતિ રાવણ એક મગજ ના વાપરી શકતો હોય તો પછી એ બધા માંથાઓને ધડ પર રહેવાનો કોઈ અધિકાર નથી. પછી ભલે એ ભગવાન શિવે જ કેમ ના આપ્યા હોય.

હનુમાન લંકા દહન કરી પાછા ફરતા પહેલા જયારે માતા સીતાની અનુમતિ અને સંદેશ લેવા જાય છે ત્યારે સીતાનો સંદેશ જાણવા જેવો છે. સીતાએ રામને કોઈ સમાજ સુધારા માટે પ્રોત્સાહિત કરવાની વાત નથી કરી. સીતા હનુમાનને કહે છે કે,

તાત સક્રસુત કથા સુનાએહુ |
બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ
||

(રામચરિતમાનસ – સુંદરકાંડ – 26 )

અર્થાત, હે હનુમાન પ્રભુ રામને ઇંદ્રાપુત્રની વાત યાદ અપાવજો અને પોતાના ધનુષનો પ્રતાપ સમજાવજો. પબજી વાળી પબ્લિકને રામાયણ યાદ નહીં જ હોય એટલે ટૂંકમાં કહેવાનું કે, એક વખત ઇંદ્રાપુત્ર જયંતે સીતાનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી અને રામે એ ‘અડપલાબાજ’ ઇંદ્રાપુત્રના પ્રાણ હરિ લીધા હતા. રામના બાણ પ્રહાર પછી એ ભાઈ દોડતા દોડતા ઇન્દ્ર, બ્રહ્મા અને સ્વયં ભગવાન શંકરના શરણે જાય છે પરંતુ બધા એક જ ઉત્તર આપે છે – રામ બાણ અમોઘ છે બાળક, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે ના બચાવી શકે ! જયારે રાવણેતો સીતાનું હરણ કર્યું હતું એટલે આ પાર્ટીની તો ગેમ ઓવેર જ હતી.

આમાં સીતા અને હનુમાન બંને જાણે છે કે રામને કાંઈ યાદ કરાવવાની જરૂર નથી છતાં, જડ જનસામાન્ય માટે આ સંવાદ છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે, સમજાવીને લાડપ્રેમથી સમાજ સુધારણા એક હદ સુધી જ શક્ય છે, પછી મગજ વગરના મનુષ્યોના સમાજે પોતાના લાડકવાયા લલ્લુઓ માટે સામુહિક બેસણાની તૈયારી કરવી જોઈએ. 😉

જાય શ્રીરામ 🙂