Category : Gujarati Poem

રામનવમી



શ્રીરામજી  હવે આપ કૃપા કરી મર્યાદા છોડો,
ઉત્તર દિશામાં સંસદ તરફ અમોઘ શસ્ત્ર છોડો,

લંકાનો  હવે કોઈ ભય  નથી  દિલ્લી તરફ દોડો,
જનસમુદાય પરથી જડભરતોનું આધિપત્ય તોડો,

ખર અને દૂષણ તો આજે બન્યા છે ભારત વિભૂષણ,
રાજનેતાઓ  સામે  રાવણનો  અત્યાચાર પડે મોળો,

માનવ કરતા વાનર ભલો, પણ એમ જ આશા ના છોડો,
રામરાજ્યમાં પણ રાજનીતિ છે, ભલે વાત મારી વખોડો,

રામનવમીને  યોગ્ય  અવસર સમજી હવે યુદ્ધ રથ જોડો,
જનહિતમાં ત્વરા કરજો ભલે આ ભક્તનો સંદેશો છે મોડો.



હનુમાનજીએ શ્રીરામને પૂછ્યું,” પ્રભુ, અયોધ્યામાં આપના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એના દર્શનની કામના છે. તો આપના રામાવતારના જન્મદિન નિમિત્તે પૃથ્વીલોકના પ્રવાસની અનુમતિ આપો.”

શ્રીરામ ટોણો મારે છે, “હનુમાન આપ તો ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ’ છો અને આવી મતિ કેમ થઇ કે અનુચિત કામ માટે અનુમતિ માંગો છો? ત્યાં જઈને શું જોશો જે મારા સહવાસમાં નથી? ” 😉

હનુમાન સમજી જાય છે કે ભગવાન હજુ પણ પૃથ્વીલોક બાબતે ઉત્સુક નથી. ત્યાંજ નારદમુનિ પ્રગટ થાય છે અને હનુમાનજીને કહે છે કે આપ પણ સમજી નથી શકતા કે પ્રભુ શ્રીરામ સ્વયં ક્યારેય પોતાના મંદિરના દર્શનની પરવાનગી ના આપે. એ તો મર્યાદા પુરુષ છે. માટે આપ જેવા ભક્તે તો અવશ્ય જવું જોઈએ. વળી એમ પણ સલાહ આપે છે કે, અયોધ્યાની ગલીઓમાં પગપાળા ના જતા, રખડતી શ્વાન સેનાનો ખુબજ ત્રાસ છે, માટે આકાશમાર્ગ જ ઉચિત છે.

હનુમાનજી માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ચોતરફ થતા જય શ્રીરામના નાદથી હનુમાનજીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે અને તેઓ પણ એ હર્ષનાદમાં જોડાઈ જાય છે.

હનુમાનને આટલા ઉત્સાહથી જય શ્રીરામ બોલતા સાંભળીને બાજુમાં ઉભેલા ભાઈ કહે છે કે ભાઈ નાહક આટલી ઉર્જા વ્યય ના કરો, ઉદઘાટનવાળા પ્રધાનનું પ્લેન મોડું છે અને હજી તો બીજા ચાર કલાક બોલવાનું છે. હનુમાન ચકિત થઈને કહે છે કે ચાર કલાક શું ચાર યુગ સુધી બોલું તો પણ ઓછું છે. પેલા ભાઈને લાગે છે કે આમની ચસકી ગઈ લાગે છે. કુતુહલવશ પૂછે છે કે,”કેટલાનો વાયદો કર્યો છે? ડબલ મળવાના છે કે શું તે આટલા જોશથી બરાડો છો?” જયારે હનુમાન વિસ્મયથી જુએ છે ત્યારે એ કહે છે કે,”તમારો ઉત્સાહ જોઈને તો લાગે છે કે તલાટીઓએ મફતમાં બોલાવેલા શિક્ષક તો તમે નથી. હટ્ટાકટ્ટા છો તો કોઈ ભાડુતી જ લાગો છો. બાકી આમારે શિક્ષકોએ તો આ રાજકારણીઓ જે તાયફામાં તેડાવે ત્યાં જવું પડે છે.” હનુમાનજી કાંઈ ઝાઝુ સમજ્યા નઈ પણ મનોમન એમ વિચારીને આગળ વધ્યા કે વાહ શ્રીરામના જન્મોત્સવમાં શિક્ષકો-આચાર્યો પણ આવી પહોંચ્યા છે, ધન્ય છે આ રાજ્ય અને નસીબદાર છે તેમના વિદ્યાર્થીઓ.

આગળ જતા તેમણે કેટલાક યુવકોને પથ્થર વીણતાં જોયા. કોઈ દિવ્ય સેતુનું નિર્માણકાર્ય થઇ રહ્યું લાગે છે એમ વિચારીને હનુમાને પણ આ શ્રમયજ્ઞમાં જોડાવાની અનુમતિ માંગી. તો એક વિચિત્ર લગતા વ્યક્તિએ પૂછ્યું કે,”અલ્યા કઈ જેલમાંથી આવ્યો છે? ભાગેડુ-ફરાર કે જામીન પર છે? જો પકડાય તો પાર્ટીની કોઈ જવાબદારી નથી. શું સમજ્યો? “. એટલામાં જ કોઈ બાજુમાં ઉભેલા વ્યક્તિએ કહ્યું કે,” સાહેબ, આને આપણા દળમાં સામેલ કરીલો. જે રીતે રામ નામ બોલતો હતો એ જોઈને તો પુરેપુરો બ્રેઇનવોશ લાગે છે. રમખાણોમાં આવા જ ઝનૂની જોઈએ.”

ત્યાંજ અચાનક કોઈ કોલાહલ શરુ થયો અને ટોળું દોડ્યું. હનુમાનજી પાછળ જઈને જુએ છે તો થોડાક યુવકો કોઈ દુકાનને આગ લગાડી રહ્યા છે અને કોઈકને ગડદાપાટુથી મારી રહ્યા છે. હનુમાનને હેરતની વાત તો એ લાગી એ લોકો દુકાનદારોને મારતી વખતે એમનું નામ કેમ લેતા હતા…

નારદમુનિ આ બધો ખેલ ઉપરથી જુએ છે…

અને સાચા રામભક્તો પરિસ્થિતિની વિવશતાની લીધે આવા ખેલ અહીં રહીને રોજ જુએ છે…. જય શ્રીરામ 🙂


Category : Gujarati Poem

ઈશ્વરની હયાતીનો દાખલો માગવાવાળા મુર્ખાઓ જોગ



પૂછ્યું જો ઈશ્વરને કે તું જો હોય તો પુરાવો આપ,
બોલ્યા પ્રભુ, હે વત્સ પહેલાં તું તારું કદ તો માપ,

ગોખ અને ચોકના નામે મને તું કોઈ હદ ના આપ,
મૂર્ખ, ક્યારે સમજાશે તને કે મારો વ્યાપ છે અમાપ!

ભલે મેં કહ્યું કે મારો અંશ છે તું, પણ સ્વતંત્ર છે તું,
હું નથી તારો મદારી અને તું કોઈ કરંડિયાનો સાપ,

શું  કરીશ  હું  લઈને તારા આ બધા પુણ્ય ને પાપ,
તું જ રાખ તારા આ મંદિર, મસ્જિદ, માળા ને જાપ,

જાણીશ  મને, જયારે છોડીશ તારા અહંકારી આલાપ,
માટે પ્રથમ તો તું તારા અજ્ઞાનના આ આવરણો કાપ.



એક તરફ ‘જો ઈશ્વર ખરેખર હોય તો પુરાવો આપે‘ ની પીપુડીઓ વગાડવાવાળા ઓછા નથી, તો બીજી તરફ નવરાત્રી દરમ્યાન બૂમો પાડી પાડીને, ‘હે માં દર્શન આપો અને આ ભવદુઃખ કાપો‘ વાળા માનસિક-દરિદ્ર, દુઃખી અને દંભી પાપાત્માઓ પણ ઓછા નથી. આવા બન્ને બાળબુદ્ધિઓને માતાજીનો સપ્રેમ સંદેશ છે કે, 1.) જ્યાં પુરાવા માંગવાના છે ત્યાંતો પાટલુન પલાળો છો. ઉ.ત. રસ્તા પર ખાડા કેમ પડે છે?, મહામારીમાં લોકો કેમ મરે છે?, કોઈ જો ખાતો નથી તો હજારોની રેલીઓના એ પેટ કેમ ભરે છે?.. વગેરે વગેરે  અને 2.) જો ભવાઈ કરનારાને જ તમે ભગવાન માનોછો તો એમને જ તમારા ભવદુઃખ દૂર કરવાનું કહો ને, સંસંદભવનનું સરનામું આપું? 😉    

પહેલા નોરતે માતાજીનો આવો સંદેશો લઈને ઘરે જતો હતો ત્યાંજ કોઈ ચૂંટણી પછીની જનઆશીર્વાદ યાત્રાએ રસ્તો રોકેલો હતો. આશીર્વાદની યાત્રાને શાપ આપતો આપતો હું રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભો રહ્યો ત્યારે ખબર પડી કે બાજુમાંતો મરઘાં-ઉછેર વાડો (Poultry Farm) છે. રાજકારણ યાત્રાના ગપ્પા-સૂત્રોચ્ચાર સાંભળવા કરતાં મેં બાજુના પાંજરામાં ચાલી રહેલો બે મરઘીઓ વચ્ચેનો સંવાદ સાંભળ્યો.

પ્ર.મ. (પ્રથમ મરઘી) – બેન આપણેતો લકી છીએ. આગળની પેઢી કરતા થોડા દિવસ વધુ જીવીશું.

દ્વિ.મ. (દ્વિતીય મરઘી) – કેમ? મનેતો થયુ કે આ બહાર થતા ફટાકડાના અવાજ અને ધુમાડામાં આજે જ મરી જઈશું. કોઈને એમ પણ નથી થતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા પાંજરા ગોઠવે કે જેથી હવાની અવરજવર સારી રહે.

પ્ર.મ.: શું કેમ? અલી નવરાત્રી છે. માટે આ દંભી બબૂચકો 10 દિવસ ચિકન નહિ ખાય.

દ્વિ.મ.: એ વાત તો સાચી. ચારેબાજુથી દેખાતા આ માનવ સમુહોના રાક્ષસી રાસમાં હું તો ભૂલી જ ગઈ કે નવરાત્રી છે. પણ આ તર્ક નથી સમજાતો કે 10 દિવસ ચિકન ના ખાવાથી શું ફરક પડે? આજીવન તો આ લોકો આડા ધંધા મુકવાના નથી !

પ્ર.મ.: બેન એક વાત યાદ રાખ, આ ભારત દેશ છે. અહીં તર્ક અને બુદ્ધિની વાત નહિ કરવાની. સાંભળ, ગયા જનમમાં હું ઉડી શકે એવું પક્ષી હતી અને એક વાર ખુબ ઉંચે ઉડીને હું સ્વર્ગ સુધી ગઈ હતી અને ત્યાં મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો…

દ્વિ.મ.: અરે કોઈ પક્ષી કેવી રીતે એટલું ઉપર ઉડી શકે? કારણકે થોડા ઉપર ગયા પછી તો હવા પણ નથી હોતી અને પક્ષીને ઉડવા માટે હવા જોઈએ!

પ્ર.મ.: શટ અપ બીચ. સોરી સોરી આ રસ્તે જતા લોકોએ મારી ભાષા થોડી બગાડી દીધી છે….  યાર, કીધું ને કે આ દેશમાં લોજીક નહિ લડાવવાનું. સોરી, સામે ચોંટાડેલા પેલા પ્રજાવત્સલ ગપ્પીદાસ રાજાનું પોસ્ટર જોઈને મેં પણ હાંકે રાખ્યું અને ભૂલી ગઈ કે સામે મૂર્ખ મનુષ્ય નહિ પણ એક સમજદાર મરઘી છે. પણ હા એ વાત સાચી કે મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો. મહર્ષિ નારદ દેવી સરસ્વતીને પૂછતાં હતા કે આ દેશમાં કેમ આપની કૃપા નથી અને મોટાભાગના મનુષ્યો કેમ આટલા મૂર્ખ છે? અને દેવીએ થોડા ચિડાઈને જવાબ આપ્યો હતો કે, સોરી મહર્ષિ, પ્લીઝ ડોન્ટ ટેક ઈટ પર્સનલી, પણ આ ડફોળશંકરોને વીણા અને તંબુરા વચ્ચેનો ભેદ પણ ખબર નથી તો શું કરીએ….

દ્વિ.મ.: પ્રજાવત્સલ??!! પ્લીઝ ગીવ મી અ બ્રેક … આનોતો ફોટો જોઈને જ મને કોઈ મહાતાંત્રિક લાગે છે. વળી એવું પણ સાંભળ્યું છે કે લોકોને દર ચોમાસામાં રસ્તા પરના ખાડામાં પાડીને તો એ નરબલી ચઢાવે છે!

પ્ર.મ.: જો બેન, બુદ્ધિમાન લોકોના આર્ટીકલો વાંચ્યા વગર, આપણા માલિકે સામે મુકેલા ટીવીમાં આવતી ન્યૂઝ ચેનલોમાં આ રાજાની યશગાથાઓ સાંભળ તો જ તને એનો મહિમા સમજાશે. આ રાજાથી પોતાની પ્રજાના દુઃખ જોવાતા નથી એટલે તો બિચારો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવે છે.

દ્વિ.મ.: ભલે ભલે, હું તારી વાતથી સહમત તો નથી પણ આપણે થોડા મનુષ્યો છીએ કે હલકટ રાજકારણીઓના માટે અંદર અંદર ઝગડી પડીએ. પણ એક વાત કહે કે આના પોસ્ટર અહીં મરઘાંઘરમાં કોણે લગાવ્યા છે??  આપણે થોડા વોટિંગ કરવાના છીએ ?

પ્ર.મ.: બેન વાત તો તારી સાચી છે પણ આ દેશમાં ખરેખર ક્યારેક તો મરઘાં-બકરાં ને માણસો વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ પડી જાય છે. કોઈ ઉત્સાહી પાર્ટી કાર્યકરે લગાવ્યા હશે. આ પાર્ટી કાર્યકરો તો પેલું ક્રિકેટ કોમેન્ટ્રીમાં કહે છે ને કે “જોશમે આકે હોશ ખો બૈઠે” જેવા જ નંગ હોય છે. સારું છે કે આ દેશમાં ટોયલેટ-પેપર નથી વપરાતા, નહીંતર ત્યાં પણ પોતાના પ્રધાનોના ફોટા ચીતરાવીને મફત વહેંચે એવા છે….

આ સાંભળીને તો મારાથી ખડખડાટ હસી પડાયું અને ત્યાં જ જન-આશીર્વાદ વરઘોડો આગળ જતા રસ્તા પર જગા થઇ અને હું જય અંબે બોલીને ઘર તરફ આગળ વધ્યો… 😉