Category : Geeta Pravachan - Gujarati

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા



આપણા અમૂલ્ય આધ્યાત્મિક જ્ઞાનને ચિંતનશીલ અને મનનશીલ લોકો સમક્ષ મુકવાની ઈચ્છા કેટલાક વર્ષોથી હતી. એ પણ એવી રીતે કે જેથી લોકો તેનો સાચો અર્થ સમજી શકે અને ખરેખર જીવનમાં ઉતારી શકે. આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ લોકોને ભ્રમિત કરવાના કથિત સાધુસંતોના સતત પ્રયાસોથી અને ગીતાના નામે ચાલતા ગોરખધંધાથી આપણા અદભુત તત્વજ્ઞાનની છબી એવી ખરડાઈ ગઈ છે કે શું સાચું અને શું ખોટું એ કહેવું સામાન્ય માણસ માટે ખુબજ અઘરું થઇ ગયું છે. 

કોઈ કાંઈ કરતુ નથી એમ કહીને બેસી રહેવાનો મારો સ્વભાવ નથી. એટલે ખોબે ખોબે પણ જેટલી બની શકશે એટલી ગંદકી હું ઉલેચ્યા જ કરીશ. આમાં કોઈ પરમાર્થવૃત્તિ કરતાં તો મારા સ્વાર્થની જ ભાવના છે, કારણ કે જો હું આમ કોઈ પ્રામાણિક પ્રયાસ કરીશ તો જ હું મારા પરમ ગુરુ મહાયોગેશ્વર પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રીકૃષણની સામે આંખોમાં આંખો મિલાવીને જોઈ શકીશ. 

બાકી મારે જે કાંઈ પણ કહેવાનું છે એ આ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અભ્યાસ પ્રવચનોની પ્રસ્તાવનામાં કહી જ દીધું છે.

જે મિત્રોએ આ કાર્ય શરુ કરવામાં મદદ કરી છે એમનો ખુબ જ આભારી છું.

જો કોઈને રેકોર્ડિંગ ક્ષેત્રનો અનુભવ હોય તો સલાહ આવકાર્ય છે.

અહીં તો ફક્ત આ એક જ વીડિયોની લિંક મૂકી છે પરંતુ પ્રસ્તાવનાના બીજા વિડિઓ યુટ્યુબ ચેનલ પર છે. અને જેમ જેમ વિડિઓ દર સપ્તાહે ઉમેરાતા જશે એમ એમ એ ચેનલ પર ઉપલબ્ધ થતા જશે.

આ પ્રવચનો પોડકાસ્ટ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. વિવિધ પોડકાસ્ટ એપ્લિકેશનની લિંક માટે અહીં ક્લિક કરો અને “Where To Listen” હેઠળ જુઓ. એપલ, સપોટીફાય અને ગુગલ પોડકાસ્ટ એપમાં “Shrimad Bhagwad Geeta In Gujarati” સર્ચ કરવાથી પણ એ મળી શકાશે.



Category : Gujarati Poem

જન્માષ્ટમી



વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,
અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,
જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,
તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું?


ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ કરું,
આદત જ ક્યાં છે મને કે ગોળગોળ વાત કરું,
જાતને ભૂલવા હૃષી સક્ષમ હોવ તો કહેજો મને,
પળમાંજ પરમેશ્વરને ચર્તુભુજ રૂપે સાક્ષાત કરું.



ગત સપ્તાહે આંશિક ભારત ભ્રમણ કરતાં કરતાં મારે વૃંદાવન જવાનું થયું. આમ તો કહેવાતા પવિત્ર ધામોને હું દૂરથી જ પ્રણામ કરું છું પણ આ કેસમાં ગયા વગર છૂટકો નહોતો. વળી મનમાં એમ પણ હતું કે આપણા પરમ ગુરુ અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભૂતકાળની લીલાભૂમિ લગભગ બે દસકા પછી જોઈએ તો ખરા કે કેવી પરિસ્થિતિમાં છે. 

ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાનો ત્રિવેણી સંગમ આવતાની સાથે જ અણસાર આવી ગયો કે ‘પવિત્ર ધામ’ નજીકમાં જ હશે. જે મિત્ર અને એના માતાપિતા સાથે આ યાત્રા હતી એ આમ તો મારા વિચારોથી સુપરિચિત છે જ પણ તેમ છતાં મેં સ્પષ્ટ કરી દીધું હતું કે કાર પાર્ક થયા પછી ‘દર્શનાર્થીઓ’ એમના રસ્તે અને હું મારા રસ્તે. વૃંદાવનની ગલીઓમાં ડગલે ને પગલે ગાંધીછાપના વિનિમયથી કરાવતા VIP દર્શનરૂપી કન્યાઓના માંગા એક વિરક્ત સાધુની જેમ ઠુકરાવતો, જાણે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા હોય એને છાણથી ઢાંકીને પોતાનો પ્રેમ દર્શાવવા આતુર બનેલી  અને શ્રીકૃષ્ણના ગમન બાદ સુધબુધ ખોઈ બેઠેલી ગોપીઓની જેમ રખડતી બનેલી ગાયોથી મારી જાતને બચાવતો બચાવતો હું વસુદેવની જેમ મારા હૃદયના ટોપલામાં રાખેલા શ્રીકૃષ્ણ સાથે આગળ વધી રહ્યો હતો.

તે દરમ્યાન મિત્ર કુટુંબની ધીરજ અને સહનશક્તિ ખૂટતાં, એમનાથી થયેલા VIP દર્શનના આશીર્વાદના સ્વીકારરૂપી સંયમચ્યુતના સમાચાર મળ્યા. સાથી સૈનિકોના પક્ષપલટાથી મનમાં થોડું દૂખ તો થયું પણ ઈશ્વરને ગમ્યું તે ખરું અને થયું કે વિશ્વામિત્ર પણ જો મેનકાથી ચલિત થયા પછી પણ બ્રહ્મપદ પામી શકે તો મારા સાથીઓ પણ પછી પ્રાયશ્ચિત કરી લેશે અને મોક્ષમાર્ગે આગળ વધશે.

મંદિર જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ (મૂર્ખ)માનવ મહેરામણ આગળના રસ્તાને ઘેરી વળ્યું હતું. વસુદેવને યમુનાનું જળ જેમ ગળાથી ઉપર વધીને માથા સુધી પહોંચતા જેવી થઇ હશે એવી જ રૂંધામણ મને શરુ થઇ. પણ શ્રીકૃષ્ણને કૃપાસાગર એમ થોડા કીધા છે? જેમ બાળકૃષ્ણે પિતા વસુદેવ માથેના ટોપલામાંથી પોતાનો પગ બહાર કાઢીને જેવો પોતાનો અંગુઠો યમુનાની તોફાની ધારામાં ઝબોળ્યો કે તુરત જ ભગવાનના ચરણસ્પર્શથી ધન્ય થયેલી યમુનાએ વસુદેવને માર્ગ કરી આપ્યો , તેમ કોઈ ચમત્કાર થાય એની હું રાહ જોતો હતો પણ તેવામાં જ એક આકાશવાણી થઇ જે કદાચ મને એકલાને જ સંભળાઈ. આકાશવાણી બોલી ઉઠી કે હે હૃષી, એ તો દેવી યમુના હતી કે માર્ગ આપ્યો, પણ આ જડ-સમુદાય તો પ્રભુ સ્વયં આવીને ધક્કા મારે તો પણ નહિ હટે , માટે એક જ્ઞાની ભક્ત થઈને આવી ઈચ્છા કરીને પ્રભુને ધર્મસંકટમાં ના મુકીશ.

જેવી ઈશ્વર ઈચ્છા સમજીને મેં કદમ પાછા વળ્યાં ત્યાં જ ચમત્કાર થયો. અચાનક જ એક બૂકસ્ટોર પ્રગટ થયો અને મારે બ્રહ્મસૂત્ર અને ગીતાભાસ્યો વિષે જે પુસ્તકો ઘણા સમયથી જોઈતા હતા તે મળ્યા. વળી, શ્રીવિષ્ણુ અને શંકર જોડીમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ, બે સાધુઓ પણ ત્યાં આવ્યા અને મારા હાથમાંના પુસ્તકો જોઈને થોડી ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. બસ આ જ્ઞાન પ્રસાદ લઈને હું પાછો કાર પાર્કિંગ એરિયામાં આવ્યો. જેવા અમે કારમાં બેઢા કે મિત્રની મમ્મીએ ડ્રાઈવરને પ્રશ્ન કર્યો કે, “તમે પણ દર્શન કર્યા કે નહિ?”. ડ્રાઈવરે જવાબ આપ્યો,”બહેનજી, હું તો અહીંયા આવતો જતો રહું છું એટલે તમને દર્શન થયા એટલે બસ. વળી, મારા માટે તો મારા માતાપિતા જ તીર્થ સમાન છે એટલે બીજા તીર્થોના દર્શન થાય ના થાય એનો કોઈ ગમ નથી….”. આ જવાબ સાંભળીને મારાથી પ્રસન્નતાથી હસી પડાયું ને થયું કે આ જ તો ભગવાન શ્રીકૃષ્ણની સ્ટાઇલ છે કે હંમેશા છેલ્લા બોલે સિક્સર મારવી …. 😉

ઘરે આવીને જયારે બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણ સાથે હું ચા-કોફી પીતો હતો ત્યારે મેં આ વાત છેડી. તો ઈશ્વર હસતા હસતા બોલ્યા, એમ કાંઈ હું વૃંદાવન છોડીને દ્વારકા આવ્યો હતો. અને લલ્લુ લોકોએ ત્યાં પણ હેરાન કરવાનું ના છોડ્યું તો દ્વારકા પણ મારે સમુદ્રમાં અદ્રશ્ય કરવી પડી… છેવટે મેં પૂછ્યું કે આ બિર્થડેમાં લોકો એવું શું કરે તો આપને ગમશે. પ્રભુનો સસ્મિત પ્રત્યુત્તર હતો કે લોકો પોતાના નાનકડા દીકરા દીકરીઓને કાનુડો ને રાધાના વાઘા પહેરાવે છે એ તો બધું ઠીક છે પણ જો એની સાથે મેં આપેલા ગીતાજ્ઞાનના બે શબ્દો પણ સંભળાવતા અને સમજાવતા હોય તો સારું. કારણકે એના વગર અત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈક માટે કપડાં થકીજ બનેલા કાનૂડાઓ મોટા થઈને કંસ જેવા કપૂત અને રાધાઓ રોતડ ને વેવલી બનીને રહી જશે… 🙂


Category : Gujarati Poem

અડગ આત્મવિશ્વાસ



વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,
અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર,

અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,
જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર,

મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,
પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર,

યુવાનને  વળી શું  હોય  કદી  નિષ્ફળતાનો ડર?
વીરને મન તો હર ક્ષણ જાણે પરાક્રમનો અવસર,

ત્યાં સુધી અટકશે નહીં ‘હૃષી’ શબ્દોની આ સફર,
જ્યાં સુધી ન વર્તાય ક્રાંતિકારી વિચારોની અસર.



એક પશુ જ પરિસ્થિતિ સામે લાચાર હોય છે. પરિસ્થિતિ સામે પરવશતા એ સામાન્ય મનુષ્યનું લક્ષણ છે. ખરેખર તો સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચે એક જ પગથિયાનું અંતર છે, અને એ પગથિયાનું નામ છે દૃઢ નિશ્ચય. એટલે પ્રશ્ર્ન તો  એ જ છે કે તમારે સામાન્ય જ રહેવું છે કે પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને પામવી છે?

પોતાના વિકાસ માટે દૃઢ નિશ્ચય કરવા માટે અને પછી એને એટલી જ મક્ક્મતાથી વળગી રહેવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ આવે છે સ્વયં ને બરાબર ઓળખ્યા પછી, અર્થાત આત્મજ્ઞાન થાય ત્યારે. જયારે તમે તમારી જાતને જાણો છો એ જ ક્ષણે તમે પરિસ્થિતિ જન્ય સુખ-દુઃખ, લાભ-હાનિ અને સરળતા-વિકટતાના દ્વંદ્વથી પર થઇ જાઓ છો. પછી બસ રહે છે માત્ર તમે અને તમારો જ્ઞાન-વિજ્ઞાન, આત્મ-વિકાસ અને સમાજ કલ્યાણ લક્ષી અથાગ પ્રયત્ન. આ જ તો છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલો કર્મયોગ. 🙂

કદાચ કોઈના મનમાં પ્રશ્ન થતો હોય કે તો શું ‘રામ રાખે તેમ રહીએ’ એ તત્વજ્ઞાન ખોટું? તો એવા આળસુ મુર્ખાત્માઓને આદર સહીત જણાવવાનું કે એ ભજનમાં મીરાંબાઈ ફક્ત સંજોગો વસાત આવી પડેલ પરિસ્થિતિને આનંદપૂર્વક માણવાનું કહે છે. કારણ કે આપણા હાથમાં ફક્ત પ્રયત્નો જ છે પરિણામ નહિ. પણ એ ભજનમાં કયાંય પણ એવી લીટી નથી કે જે કહેતી હોય કે ‘આજીવન મૂરખના મૂરખ જ રહીએ ઓધવજી… રામમાંથી કોઈ સદ્-ગુણ ના કદી લઈએ… ફક્ત રામ-રામ એમ જીભ જ હલાવતા રહીએ … ‘ 😉

યાદ રાખો, રામ કદી કોઈને નમાલા અને ભિખારી રાખવા માંગતા નથી. લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નીલ અને  અંગદ જેવા અગણિત શૂરવીર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ એમની આસપાસ જોવા મળશે. એક પણ લલ્લુને લંકા યુદ્ધમાં સાથે રાખ્યો હોય તો બતાવો! રાંક જ રહેવું હોય તો રામ નામ જપવાનું બંધ કરો કારણ કે એ અવધપતિનું અપમાન છે. રામાયણ અને મહાભારતનો એજ ઉપદેશ છે કે, એમાં વર્ણવેલા તેજસ્વી મહાપુરુષોનું આહવાન કરી એવા બનવા પ્રયત્ન કરો તો ઈશ્વર સામેથી તમારા સારથી બનશે. બાકી સદીઓથી મંદિરોના ઘંટ વગાડી વગાડીને સમાજ ઘંટ જેવો તો બની જ ગયો છે. 😉


Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Gujarati Poem

રાજકારણી રંગલો



એક રંગલો છે રંગભૂમિનો ખરો કલાકાર,
એની લીલાનો જનતા કદી ના પામે પાર,

સત્તાભૂખ  એ  જ એના સર્વ કર્મોનો સાર,
ઠેર ઠેર મીડિયામાં એના ગપ્પાનો પ્રચાર,

એક આપીને દસ લેવાનો એનો વ્યવહાર,
લલ્લુ જનતા જાય લુંટાતી બનીને લાચાર,

ઉલ્લુ પ્રજા સુજાવે છે હાસ્યાપદ ઉપચાર,
જમણાને તો બહુ માર્યો હવે ડાબે તું માર,

ગુંડા-લુખ્ખાઓ પર પાર્ટી કરતી ઉપકાર,
બેવકૂફોની ટોળીથી જ એ ચલાવે સરકાર,

એના તોતિંગ તાયફાનો પ્રજા પર બહુ ભાર,
મૂર્ખાઓને મન આ જ તો છે ધરમની સરકાર,

કૃષ્ણ કહે, હૃષી રંગલાઓનો અહીં નથી પાર,
વાઢવા બેસું તો બુઠ્ઠી પડે આ સુદર્શનની ધાર.



બૉલીવુડના કલાકારો પણ દિલ્લીની જાત્રાએ જાય છે કરણકે આ નટનટીઓના ઇષ્ટદેવ ત્યાં શાક્ષાત બિરાજે છે. વર્ષોથી એકના એક જ ગપ્પાંવાળા ડાયલોગ બોલીને બહુમતી કેમ મેળવાય એ કલા એમને હસ્તગત છે.

ધૃતરાષ્ટ્રની સત્તા લોલુપતાએ તો પોતાના જ વંશનો અને સાથે સાથે લખો નિર્દોષોનો નાશ નોતર્યો. કંસે તો સત્તા ટકાવવા વ્રજના અગણિત બાળકોના જીવ લીધા. આખો દેશ આ કથાઓ જાણતો હોવા છતાં કોઈ બોધ લેતો નથી. એ જ સાબિતી છે કે મનુષ્ય જાણે છે ઘણું પણ આચરણ અને બોધ વગર બધું વ્યર્થ છે.

ઉપરોક્ત ઉદાહરણ અત્યારના સત્તા સ્વાર્થી રાજકારણીઓને બખૂબી લાગુ પડે છે. દેશમાં લખો લોકો મરે છે પણ અવતારપુરુષ તો અન્ય પ્રાંતોમાં ધર્મધજા લહેરાવવામાં મશગુલ છે. અરે ભાઈ સત્તા લઈને પણ તારે કરવું છે શું એ તો કહે? દિલ્લીમાં પ્રવર્તમાન સરકાર કોઈ સારા કામ ના કરી શકે એ માટે રાતોરાત કાયદો લાવીને લ્યુટેનન્ટ ગવર્નરની સત્તા વધારીને કેન્દ્ર સરકારે એ તો સાબિત કરી જ દીધું છે કે, “હું સારું તો કરતો નથી પણ કોઈને કરવા દેતો પણ નથી” એ જ સૂત્ર સાથે અમે સબકા વિનાશ હમારા વિકાસના એક માત્ર ધ્યેય માટે કાર્યરત છે.

એક તસુભાર પણ સત્તા જતી ના રહે એની બીક આ અવતારપુરુષને એટલી બધી છે કે એ બધી જગાએ એવા જ મંત્રીઓની નિમણૂંક કરે છે કે એ ફક્ત એમના ધાવણ પર જ નભતા હોય. અત્યારે જયારે એવા સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મંત્રીઓની જરૂર છે કે જે જનસેવામાં ત્વરિત નિર્ણયો લઇ શકે ત્યારે અહીં ફક્ત અબુધ ધાવતા બાળકો જ રમ્યા કરે છે.   

અત્યારે થતા મોટાભાગના મોત માટે સરકારની અણઆવડત જવાબદાર છે. તમને જો એવું લાગતું હોય કે આ કોરોના તો વૈશ્વિક મહામારી છે અને થોડા સમય પછી જતી રહેશે પછી તો જલસા જ છે. તો હે અલ્પબુદ્ધિ વડીલ આ વાત કોતરી રાખો કે આપના દાદાશ્રી અને પિતાશ્રી પણ આવું જ વિચારતા હતા અને એમની વિકેટ પડી ગઈ છે. જો તમે અત્યારે જેમ તેમ બચી જશો અને આવી જ જડતા જાળવી રાખશો તો નજીકના ભવિષ્યમાં તમે પણ પૂરતી તબીબી સુવિધાના અભાવે કે આપના માનીતા મંત્રીશ્રીની અણઆવડતના પ્રભાવે રન આઉટ થશો. વધુમાં આપનો કુલદીપક કે દીપિકા પણ કયા વાવાઝોડામાં હોલવાઈ જશે એની ખબર પણ નહિ પડે. માટે જ કહું છું કે આપના પૂર્વજોએ કરેલી ભૂલોને સુધારો અને એક સુગઠિત સુશાશનયુક્ત સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આજથી જ પાયો નાખો. નહીંતર જો કોરોનામુકત હોવ તો અભણ, લુખ્ખા અને ભ્રષ્ટાચારીઓને વહીવટ સોંપવાનો સ્વાદ તો આપ ચાખી જ રહ્યા છો.


અર્જુન : હે કેશવ, આ પ્રજા કહે છે કે કોઈ વિકલ્પ નથી. શું એ વાત સાચી છે?

શ્રીકૃષ્ણ ( સસ્મિત ઉત્તર આપે છે ) : પાર્થ, વિકલ્પો તો હંમેશા હતા, છે, અને રહેશે. પણ મનુષ્યની મૂર્ખતા દ્વારા એ ઢંકાયેલા રહે છે.

અર્જુન : વાસુદેવ, મારુ મન તો આ અકારણ ઢળતી લાશોના ઢગલા જોઈને વ્યથિત થઇ રહ્યું છે.

શ્રીકૃષ્ણઃ એમના કર્મનોનું ફળ એમને ભોગવવા દે પાર્થ. મેં એમને બુદ્ધિ આપી જ છે. જો ઉદ્ધાર કરવો હશે તો વાપરશે…