Category : Gujarati Poem

ફકીર હોવા છતાં



ફકીર હોવા છતાં  અમીરો જેવા હાલ રાખું છું,
ન આવડે સરગમ પણ અકબંધ તાલ રાખું છું,

ઘરથી અજાણ, પણ દેશવિદેશનો ખ્યાલ રાખું છું,
પોતાનું કાંઈ નથી, એટલે પારકી પંચાત રાખું છું,

કોને ખબર, આ ખિસ્સામાં કેટલો પારકો માલ રાખું છું,
ઉધારીથી ભરેલો તો આખેઆખો ઉપલો માળ રાખું છું,

અસંખ્ય પાપ કરી જીવને  પુણ્યથી  પાયમાલ રાખું છું,
પણ ભગવાનને ભ્રમિત કરવા હાથમાં કરતાલ રાખું છું,

કોઈક તો લક્ષ્મીપતિ સમજશે એમ સમજી ‘હૃષી’,
હું સ્વેચ્છાએ જ  આ માથામાં થોડી ટાલ રાખું છું.



બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય.
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય..
– કબીર

શાસ્ત્રોએ આત્મશ્લાઘાની ( સ્વસ્તુતિ ) ના પાડી છે અને પારકી નિંદાની ના પાડી છે પણ સ્વાનિંદા તો કરી શકાય એવું સમજીને આજે કલમ ઉપાડી છે. પહેલી લીટીમાં જ મારો દંભ જુઓ, જાણે કે હું બધું શાસ્ત્ર વચન  પ્રમાણે જ કરતો હોઉં ! રણવીરભાઈની જેમ શારીરિક રીતે નગ્ન થવાની તો મારી ક્ષમતા નથી પણ અહીં શાબ્દિક રીતે જાતને નગ્ન કરી જે આત્મદર્શન હજી સુધી મેં પણ નથી કર્યું એ કદાચ તમને કરાવી શકીશ. મારી પાસે ‘દીપિકા’ ના હોવાથી એમ કરતાં મારુ ચરિત્ર કાંઈ દીપી ઉઠવાનું નથી પણ કોઈની નજર ના લાગે એવું કાળું ટીલું માથે થાય તોય ભલે.

આખા ગામની પંચાત અને બુરાઈ કરવામાં હું ક્યારેક ( વાંચો હંમેશા ) એ ભૂલી જાઉં છું કે આપણા તો અઢારે અંગ વાંકા છે. આજે તો મને એવું જ લાગી આવ્યું કે છાપામાં જાહેરાત જ અપાવી દઉં કે ‘જાહેર ચેતવણી, હું એટલો દંભી છું કે મારી સાથે કોઈએ કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં…” પણ પછી થયું કે એમ કરવા જતા ઉલટાના જે લેણદારો છે એ સંબંધ વધારશે અને ઘર બહાર જ અડ્ડો જમાવશે. માટે હાલ પૂરતો એ વિચાર મુલતવી રાખ્યો છે. સોસિયલ મીડિયામાં આ લખવાનો વાંધો નથી કારણ કે મોટે ભાગે અભણ લોકો જોડેથી જ ઉધાર લીધા છે અને એ કાંઈ કવિતાઓ બવીતાઓ વાંચવાના નથી. ( ભારતમાં સંપત્તિ કેમ અભણો પાસે વધુ રહેતી હશે ભગવાન જાણે ! )

મેં નોકરી છોડી ને ધંધો ચાલુ કર્યો કે જેથી લોકોને એમ થાય કે ભાઈ કેવા સાહસિક છે. પણ હકીકત તો એ છે કે મને કોઈ નોકરી આપવા તૈયાર જ નહોતું એટલે કોઈ છૂટકો જ નહોતો. વળી, મારી કોઈ ધંધામાં કશી ખાસ આવડત નથી એટલે શેરબજારના સથવારે જ ગાડું ગાબડાવું છું ( ભાઈ આ ભાવે જો પેટ્રોલ હોય તો ગાડી ચલાવવાની મારી હેસિયત નથી. ). પોતાની કંપની ખોલવાની તાકાત નથી એટલે પારકી કંપનીઓના શેર લે-વેચ કરવા એવી અવળી બુદ્ધિ છે. વળી લોભિયાઓના શહેરમાં ( હાલ કોઈ ગાંધીનગર આવીને રસ્તે રખડતા ગાયોના ટોળા જોઈને એમ કહે કે આ શહેર નથી પણ ગામ છે તો હું વિરોધ નહિ નોંધાવું) ધુતારા ભૂખે ના મરે એટલે પાંચ પૈસા મળે છે. 

હવે નોકરી પછી છોકરીનું પણ સત્ય કહી જ દઉં. મિત્રો મને જિતેન્દ્રિય માને છે અને વખાણ કરે છે કે અવિવાહિત રહીને મેં દુઃખોને હિમ્મત પૂર્વક ટાળ્યા છે. પણ સત્ય તો કાંઈ બીજું જ છે. હકીતકત તો એ છે કે રાત-દિવસ ચરખો ચલાવતાં માંડ મારું ધોતિયું બને છે એમાં કોઈને સાડી પહેરાવાવનું આ દરિદ્રનું ગજું નથી. અને ભૂલેચુકે ( આપણી ભૂલે અને સંતતિનિયમનના સાધનની ચુકે ! ) જો બાળક આવે તો મારે પણ કોઈ દ્રોણની જેમ મારા અશ્વથામા માટે ગાય શોધવા નીકળવું પડે. આ સાંભળીને જો કોઈ દ્રુપદનું  હૈયું ( કે ખિસ્સું ) હચમચી ઉઠ્યું હોય તો મારી બેંક ડિટેઈલ્સ માટે મેસેજ કરવો.

ભણતરમાં પણ એવું જ છે. ગુજરાતીમાં ગપ્પા મારીને ગુજરાત યુનિવર્સીટી માંથી ઇજનેરી સ્નાતકની પદવી લીધી પણ પછી ખબર પડી કે આ જાતકના ગ્રહો તો ખુબ નબળા છે માટે હજી અમેરિકા જઈને અંગ્રેજીમાં ગપ્પા મારીને અનુસ્નાતક ના બનો તો કોઈ વેલ્યુ નથી. અનુસ્નાતક બનવાથી પપ્પાના બૅન્કબેલેન્સની વેલ્યુ ખુબ ઘટી પણ આપણી કાંઈ એટલી વધી નઈ. એક તો આપણી વિદ્યા તો હજી બાલન જ રહી, ઉપરથી અમેરિકામાં આંટાફેરા મારીને ભારતના વિદેશી હૂંડિયામણના બેલેન્સ ને અસર કરી આપણા મહામુલા રૂપિયાની વેલ્યુ પણ ઘટાડી. તમે જોઈ શકો છો કે આ રૂપિયાને ડોલર સામે આટલો નીચો લાવવામાં મારો પણ કઈંક પૈસાનો ભાગ છે. આવા દેશદ્રોહી કૃત્યની લજ્જા અને આઘાતમાંથી આજ લગી હું બહાર નથી આવ્યો.

હું જીમમાં પણ જાઉં છું તો લોકોને મફતની સલાહો આપી સ્ટીરોઈડ કે બીજા સ્નાયુવર્ધક ઔષધો લેવાની ના પાડુ છું. છોકરાઓ એમ સમજે છે કે કાકાને આપણા સ્વાસ્થ્યની ચિંતા છે. પણ સાચી વાત તો એ છે કે મને એમના  બે મહિનામાં આવેલા સિક્સ પેકની ઈર્ષા છે. ઘડપણના ઉંબરે ઉભો રહીને પણ હું જવાનીનો મોહ છોડી શકતો નથી અને કોઈ સમાજસેવાનું કામ કરવાને બદલે રોજના બે કલાક જીમમાં બગાડું છું. જે મિત્રો સમય નથી કહીને વ્યાયામ નથી કરતા અને યોગાસનો ( મુખ્યત્વે શવાસન ) કરે છે એમને હું આળસુ કહીને વખોડી કાઢું છું પણ ખરું કહું તો એ જ તો મોટા દેશભક્ત છે અને સાચા સ્વદેશી માલના ગ્રાહક / પ્રચારક છે.   

આજના માટે આટલું પ્રાયશ્ચિત બહુ છે. હજુ પણ જે મિત્રોને મારી નિંદા કરાવી હોય એ નીચે કોમેન્ટમાં છૂટથી કરી શકે છે. હું તમારી પાછળ ઈ.ડી. કે સી.બી.આઈ. નહિ દોડવું. હા પણ એ જ મિત્ર કોમેન્ટ કરે કે જેનું ચરિત્ર મારા કરતાં પણ હલકું હોય…. 😉


Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Gujarati Poem

ઈશ્વરની હયાતીનો દાખલો માગવાવાળા મુર્ખાઓ જોગ



પૂછ્યું જો ઈશ્વરને કે તું જો હોય તો પુરાવો આપ,
બોલ્યા પ્રભુ, હે વત્સ પહેલાં તું તારું કદ તો માપ,

ગોખ અને ચોકના નામે મને તું કોઈ હદ ના આપ,
મૂર્ખ, ક્યારે સમજાશે તને કે મારો વ્યાપ છે અમાપ!

ભલે મેં કહ્યું કે મારો અંશ છે તું, પણ સ્વતંત્ર છે તું,
હું નથી તારો મદારી અને તું કોઈ કરંડિયાનો સાપ,

શું  કરીશ  હું  લઈને તારા આ બધા પુણ્ય ને પાપ,
તું જ રાખ તારા આ મંદિર, મસ્જિદ, માળા ને જાપ,

જાણીશ  મને, જયારે છોડીશ તારા અહંકારી આલાપ,
માટે પ્રથમ તો તું તારા અજ્ઞાનના આ આવરણો કાપ.



એક તરફ ‘જો ઈશ્વર ખરેખર હોય તો પુરાવો આપે‘ ની પીપુડીઓ વગાડવાવાળા ઓછા નથી, તો બીજી તરફ નવરાત્રી દરમ્યાન બૂમો પાડી પાડીને, ‘હે માં દર્શન આપો અને આ ભવદુઃખ કાપો‘ વાળા માનસિક-દરિદ્ર, દુઃખી અને દંભી પાપાત્માઓ પણ ઓછા નથી. આવા બન્ને બાળબુદ્ધિઓને માતાજીનો સપ્રેમ સંદેશ છે કે, 1.) જ્યાં પુરાવા માંગવાના છે ત્યાંતો પાટલુન પલાળો છો. ઉ.ત. રસ્તા પર ખાડા કેમ પડે છે?, મહામારીમાં લોકો કેમ મરે છે?, કોઈ જો ખાતો નથી તો હજારોની રેલીઓના એ પેટ કેમ ભરે છે?.. વગેરે વગેરે  અને 2.) જો ભવાઈ કરનારાને જ તમે ભગવાન માનોછો તો એમને જ તમારા ભવદુઃખ દૂર કરવાનું કહો ને, સંસંદભવનનું સરનામું આપું? 😉    

પહેલા નોરતે માતાજીનો આવો સંદેશો લઈને ઘરે જતો હતો ત્યાંજ કોઈ ચૂંટણી પછીની જનઆશીર્વાદ યાત્રાએ રસ્તો રોકેલો હતો. આશીર્વાદની યાત્રાને શાપ આપતો આપતો હું રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભો રહ્યો ત્યારે ખબર પડી કે બાજુમાંતો મરઘાં-ઉછેર વાડો (Poultry Farm) છે. રાજકારણ યાત્રાના ગપ્પા-સૂત્રોચ્ચાર સાંભળવા કરતાં મેં બાજુના પાંજરામાં ચાલી રહેલો બે મરઘીઓ વચ્ચેનો સંવાદ સાંભળ્યો.

પ્ર.મ. (પ્રથમ મરઘી) – બેન આપણેતો લકી છીએ. આગળની પેઢી કરતા થોડા દિવસ વધુ જીવીશું.

દ્વિ.મ. (દ્વિતીય મરઘી) – કેમ? મનેતો થયુ કે આ બહાર થતા ફટાકડાના અવાજ અને ધુમાડામાં આજે જ મરી જઈશું. કોઈને એમ પણ નથી થતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા પાંજરા ગોઠવે કે જેથી હવાની અવરજવર સારી રહે.

પ્ર.મ.: શું કેમ? અલી નવરાત્રી છે. માટે આ દંભી બબૂચકો 10 દિવસ ચિકન નહિ ખાય.

દ્વિ.મ.: એ વાત તો સાચી. ચારેબાજુથી દેખાતા આ માનવ સમુહોના રાક્ષસી રાસમાં હું તો ભૂલી જ ગઈ કે નવરાત્રી છે. પણ આ તર્ક નથી સમજાતો કે 10 દિવસ ચિકન ના ખાવાથી શું ફરક પડે? આજીવન તો આ લોકો આડા ધંધા મુકવાના નથી !

પ્ર.મ.: બેન એક વાત યાદ રાખ, આ ભારત દેશ છે. અહીં તર્ક અને બુદ્ધિની વાત નહિ કરવાની. સાંભળ, ગયા જનમમાં હું ઉડી શકે એવું પક્ષી હતી અને એક વાર ખુબ ઉંચે ઉડીને હું સ્વર્ગ સુધી ગઈ હતી અને ત્યાં મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો…

દ્વિ.મ.: અરે કોઈ પક્ષી કેવી રીતે એટલું ઉપર ઉડી શકે? કારણકે થોડા ઉપર ગયા પછી તો હવા પણ નથી હોતી અને પક્ષીને ઉડવા માટે હવા જોઈએ!

પ્ર.મ.: શટ અપ બીચ. સોરી સોરી આ રસ્તે જતા લોકોએ મારી ભાષા થોડી બગાડી દીધી છે….  યાર, કીધું ને કે આ દેશમાં લોજીક નહિ લડાવવાનું. સોરી, સામે ચોંટાડેલા પેલા પ્રજાવત્સલ ગપ્પીદાસ રાજાનું પોસ્ટર જોઈને મેં પણ હાંકે રાખ્યું અને ભૂલી ગઈ કે સામે મૂર્ખ મનુષ્ય નહિ પણ એક સમજદાર મરઘી છે. પણ હા એ વાત સાચી કે મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો. મહર્ષિ નારદ દેવી સરસ્વતીને પૂછતાં હતા કે આ દેશમાં કેમ આપની કૃપા નથી અને મોટાભાગના મનુષ્યો કેમ આટલા મૂર્ખ છે? અને દેવીએ થોડા ચિડાઈને જવાબ આપ્યો હતો કે, સોરી મહર્ષિ, પ્લીઝ ડોન્ટ ટેક ઈટ પર્સનલી, પણ આ ડફોળશંકરોને વીણા અને તંબુરા વચ્ચેનો ભેદ પણ ખબર નથી તો શું કરીએ….

દ્વિ.મ.: પ્રજાવત્સલ??!! પ્લીઝ ગીવ મી અ બ્રેક … આનોતો ફોટો જોઈને જ મને કોઈ મહાતાંત્રિક લાગે છે. વળી એવું પણ સાંભળ્યું છે કે લોકોને દર ચોમાસામાં રસ્તા પરના ખાડામાં પાડીને તો એ નરબલી ચઢાવે છે!

પ્ર.મ.: જો બેન, બુદ્ધિમાન લોકોના આર્ટીકલો વાંચ્યા વગર, આપણા માલિકે સામે મુકેલા ટીવીમાં આવતી ન્યૂઝ ચેનલોમાં આ રાજાની યશગાથાઓ સાંભળ તો જ તને એનો મહિમા સમજાશે. આ રાજાથી પોતાની પ્રજાના દુઃખ જોવાતા નથી એટલે તો બિચારો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવે છે.

દ્વિ.મ.: ભલે ભલે, હું તારી વાતથી સહમત તો નથી પણ આપણે થોડા મનુષ્યો છીએ કે હલકટ રાજકારણીઓના માટે અંદર અંદર ઝગડી પડીએ. પણ એક વાત કહે કે આના પોસ્ટર અહીં મરઘાંઘરમાં કોણે લગાવ્યા છે??  આપણે થોડા વોટિંગ કરવાના છીએ ?

પ્ર.મ.: બેન વાત તો તારી સાચી છે પણ આ દેશમાં ખરેખર ક્યારેક તો મરઘાં-બકરાં ને માણસો વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ પડી જાય છે. કોઈ ઉત્સાહી પાર્ટી કાર્યકરે લગાવ્યા હશે. આ પાર્ટી કાર્યકરો તો પેલું ક્રિકેટ કોમેન્ટ્રીમાં કહે છે ને કે “જોશમે આકે હોશ ખો બૈઠે” જેવા જ નંગ હોય છે. સારું છે કે આ દેશમાં ટોયલેટ-પેપર નથી વપરાતા, નહીંતર ત્યાં પણ પોતાના પ્રધાનોના ફોટા ચીતરાવીને મફત વહેંચે એવા છે….

આ સાંભળીને તો મારાથી ખડખડાટ હસી પડાયું અને ત્યાં જ જન-આશીર્વાદ વરઘોડો આગળ જતા રસ્તા પર જગા થઇ અને હું જય અંબે બોલીને ઘર તરફ આગળ વધ્યો… 😉

Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Gujarati Poem , Thoughts in Gujarati

દેશનું ભવિષ્ય



ભૂતોને ભજીને જો તમે ભગવાન કરો,
પછી ના કહો ઈશ્વરને કે કલ્યાણ કરો,
મૂર્ખાઓને તો એ જ કહેવાનું છે હૃષી,
મોતને માથે બેસાડયું છે તો હવે મરો.


મિત્રો,

ભાઈઓ ઔર બહેનો,

યે અનપઢ, ગંવાર ઔર ગુંડો કો સંસદમેં કિસને બિઠાયા? આપને.

હમ જૈસે જુઠે, ભ્રષ્ટ ઔર ગપ્પીદાસો કે હાથોંમેં દેશ કો કિસને થમાયા? આપને.

ખુદ અંધભક્ત બનકે હમે ભગવાન કિસને બનાયા? આપને.

અબ જબ દેશકે સાથ ગદ્દારી કરકે, આપની માં જૈસી જન્મભૂમિ કો હમારે જૈસે હવસખોરો કે હાથોંમેં આપને ઇતને પ્યારસે દે દિયા હૈ, તો બોલો મેરે પ્યારે દેશવાસીઓ, આપકો આપને પાપોકી સજા મિલની ચાહિયે કી નહિ મિલની ચાહિયે? 😉

ચાલો આ તો થઇ એક રાજકારણીની મનની વાત. પણ વાત તો સાચી છે, શું કહો છો મોટાભાઈ? 😉

ખરેખર તો આ દેશના લોકો દયાને પાત્ર નથી પણ હાંસી ને પાત્ર છે. મોટા ભાગનાને અક્કલ નથી એટલે આટલી સીધી વાત સમજાતી નથી કે આપણી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. ગરીબો રડારોળ કરે છે કે એમના દૂખ કોઈ દૂર નથી કરતુ, પરંતુ ચૂંટણી વખતે બે ચાર વાર દારૂ અને ચવાણું ખાઈને એ કોને વોટ આપે છે? ત્યારે તો કોઈ સજ્જનને પૂછવા નથી જતા કે મોટાભાઈ અમને ખબર નથી પડતી પણ આપ સલાહ આપો કે અમારા કલ્યાણ માટે કોને વોટ આપીએ. બીજો આખો મૂરખ વર્ગ ફક્ત ધર્મ અને જાતિ ને જ જુએ છે. તમારા ધરમભાઈઓ જ પછી તમારું ધોતિયુ ખેંચીને ખસી કરે છે અને નાતીવાળા જ ચૂંટાયા પછી તમે આજીવન ભૂખ્યા નાગા રહો એની પુરેપુરી તકેદારી રાખે છે.

તમે નહિ તો તમારો કોઈ લાડકો કે સગો, આજે જો કોરોનાથી બચી જશો તો કાલે એ કોઈ રોડના ખાડામાં પડી મરશે. કોઈ રખડતી ગાયોની હડફેટે સ્વર્ગવાસી થશે. કોઈ તબીબી સુવિધાના અભાવે જશે કે પછી એ મેળવવા માટે જરૂરી આવક માટે યોગ્ય રોજગાર ના મળવાથી જીવન ટૂંકાવશે. શૂરવીર સૈનિકો તો આમતેમ વગર કારણે શહીદ થયા જ કરે છે. કોઈ ગંદકી જન્ય રોગોને શરણે થશે અને કોઈ ખાદ્ય પદાર્થોની ભેળસેળના ભરડામાં જશે.

પ્રધાનસેવક તો મોર રમાડવામાં જ મશગુલ છે માટે મોત સામે તો તમારે જ લડવું પડશે. આમ ભલે રાજકારણીઓને લોકો ગપ્પીદાસ કહેતા હોય પણ એક વાત તો એમણે સ્પષ્ટ જ કહી છે કે અમારો ઉદ્દેશ ફક્ત વિરોધપક્ષ મુક્ત ભારત કરવાનો છે, ભ્રષ્ટાચાર કે બળાત્કાર મુક્ત કરવાનો નહિ. અને શિક્ષણ તો અમે આપવા માંગતા જ નથી. એટલે તો સરકારી શાળાઓ બંધ કરી છે. શિક્ષિત બેરોજગાર મુક્ત ભારત માટે જ તો… 😉

હવે જો તમે મંદિરોમાં જઈને રડતા હોવ કે હે ઈશ્વર મદદ કરો તો એ પ્રભુ વતી આ પ્રભુસેવકનો એક નમ્ર સંદેશો છે કે, બેટા આ જ તો તારા કર્મોનું ફળ છે. 😉

વિકાસ ક્યાં છે એ છોડો અને અત્યારે વેન્ટિલેટર શોધો… 😉