Category : Gujarati Poem

અડગ આત્મવિશ્વાસ



વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,
અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર,

અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,
જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર,

મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,
પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર,

યુવાનને  વળી શું  હોય  કદી  નિષ્ફળતાનો ડર?
વીરને મન તો હર ક્ષણ જાણે પરાક્રમનો અવસર,

ત્યાં સુધી અટકશે નહીં ‘હૃષી’ શબ્દોની આ સફર,
જ્યાં સુધી ન વર્તાય ક્રાંતિકારી વિચારોની અસર.



એક પશુ જ પરિસ્થિતિ સામે લાચાર હોય છે. પરિસ્થિતિ સામે પરવશતા એ સામાન્ય મનુષ્યનું લક્ષણ છે. ખરેખર તો સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચે એક જ પગથિયાનું અંતર છે, અને એ પગથિયાનું નામ છે દૃઢ નિશ્ચય. એટલે પ્રશ્ર્ન તો  એ જ છે કે તમારે સામાન્ય જ રહેવું છે કે પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને પામવી છે?

પોતાના વિકાસ માટે દૃઢ નિશ્ચય કરવા માટે અને પછી એને એટલી જ મક્ક્મતાથી વળગી રહેવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ આવે છે સ્વયં ને બરાબર ઓળખ્યા પછી, અર્થાત આત્મજ્ઞાન થાય ત્યારે. જયારે તમે તમારી જાતને જાણો છો એ જ ક્ષણે તમે પરિસ્થિતિ જન્ય સુખ-દુઃખ, લાભ-હાનિ અને સરળતા-વિકટતાના દ્વંદ્વથી પર થઇ જાઓ છો. પછી બસ રહે છે માત્ર તમે અને તમારો જ્ઞાન-વિજ્ઞાન, આત્મ-વિકાસ અને સમાજ કલ્યાણ લક્ષી અથાગ પ્રયત્ન. આ જ તો છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલો કર્મયોગ. 🙂

કદાચ કોઈના મનમાં પ્રશ્ન થતો હોય કે તો શું ‘રામ રાખે તેમ રહીએ’ એ તત્વજ્ઞાન ખોટું? તો એવા આળસુ મુર્ખાત્માઓને આદર સહીત જણાવવાનું કે એ ભજનમાં મીરાંબાઈ ફક્ત સંજોગો વસાત આવી પડેલ પરિસ્થિતિને આનંદપૂર્વક માણવાનું કહે છે. કારણ કે આપણા હાથમાં ફક્ત પ્રયત્નો જ છે પરિણામ નહિ. પણ એ ભજનમાં કયાંય પણ એવી લીટી નથી કે જે કહેતી હોય કે ‘આજીવન મૂરખના મૂરખ જ રહીએ ઓધવજી… રામમાંથી કોઈ સદ્-ગુણ ના કદી લઈએ… ફક્ત રામ-રામ એમ જીભ જ હલાવતા રહીએ … ‘ 😉

યાદ રાખો, રામ કદી કોઈને નમાલા અને ભિખારી રાખવા માંગતા નથી. લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નીલ અને  અંગદ જેવા અગણિત શૂરવીર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ એમની આસપાસ જોવા મળશે. એક પણ લલ્લુને લંકા યુદ્ધમાં સાથે રાખ્યો હોય તો બતાવો! રાંક જ રહેવું હોય તો રામ નામ જપવાનું બંધ કરો કારણ કે એ અવધપતિનું અપમાન છે. રામાયણ અને મહાભારતનો એજ ઉપદેશ છે કે, એમાં વર્ણવેલા તેજસ્વી મહાપુરુષોનું આહવાન કરી એવા બનવા પ્રયત્ન કરો તો ઈશ્વર સામેથી તમારા સારથી બનશે. બાકી સદીઓથી મંદિરોના ઘંટ વગાડી વગાડીને સમાજ ઘંટ જેવો તો બની જ ગયો છે. 😉


Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)

Category : Gujarati Poem

વિષ પ્રસાદ



શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,
એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે,

બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,
અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે,

માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?
મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે?

શિવલિંગ પર જે મંદબુદ્ધિઓ વિવિધ શિરોધારા ધરે,
એ જ પ્રાર્થના કે એના તરકટો પર શિવજી તાંડવ કરે,

આ નરાધમોની નગ્નતા છતી કરી નંદીજી શીંગડે ભરે,
અહંકારીઓને અંતરિક્ષમાં ફંગોળી પૃથ્વીનો ભાર હરે,

અંધ મનુષ્યોની મૂર્ખતા પર બ્રહ્મલોક પણ વ્યંગ કરે,
જુઓ કોઈ પણ યોગ્યતા વગર એ ત્રિનેત્રની પૂજા કરે,

આ શિવરાત્રીએ ભક્ત હૃષી એક જ વિનમ્ર પ્રાર્થના કરે,
પાપીઓને પરાક્રમ બતાવીને હવે શંભુ પુણ્ય પ્રલય કરે.



પ્રતિ,

ભગવાન મહાદેવ શિવશંકર,
કૈલાશ નિવાસ.

વિષય:  પ્રલય પ્રક્રિયામાં ઝડપ કરવા બાબત

હે પ્રભુ ઉમાપતિ શિવજી,

આપ યોગ સમાધિમાંથી જાગો અને જાણો કે કાલકૂટનું વિષપાન કરીને આ પૃથ્વીવાસીઓને બચાવવાની કોઈ જરૂર ન હતી, એના પહેલા એક જાગૃત માનવ તરીકે મારી ફરજ છે કે વહેલામાં વહેલી તકે આપને માહિતગાર કરવા. વળી, આજનો મહાશિવરાત્રીનો અવસર પણ અતિ યોગ્ય છે કારણ કે, આજે આ મૂર્ખ માનવગણ  “હે કૈલાશનિવાસી મારુ કષ્ટ કાપો..’ ની  બૂમો પાડી પાડી ને આપને જગાડવા પ્રયત્ન કરશે. તો હે મહાદેવ, મોકો ચુકતા નહિ અને એમને પણ બુંદ બુંદ વિષપાન કરાવજો. કોઈ દોઢડાહ્યો થાય તો કેજો કે, સંપત્તિ જોઈએ તો શ્રીપતિ પાસે જાઓ, મારી પાસે તો આ કલ્યાણકારી વિષ જ છે. એમાં પણ ભાંગ-ચલમવાળા ચમનોને પ્રાધાન્ય આપજો.

આમતો મેં પહેલા ભગવાન શ્રીકૃષ્ણને રજુઆત કરી હતી અને કહ્યું હતું કે હે બંસીધર હવે ચક્રધર બનવાનો સમય આવી ગયો છે. આ જ વાત, આ જ શબ્દોમાં જયારે પ્રભુ પરશુરામે સાંદિપની ૠષિના આશ્રમમાં કરી ત્યારે તો વાસુદેવ તરત જ તૈયાર થઇ ગયા હતા પણ મારી વાત સાંભળીને એમણે એમના સ્વભાવ મુજબ જ સસ્મિત મને કહ્યું કે,’તું બસ ગીતા અધ્યયન કર અને  સ્થિતપ્રજ્ઞ બનવા પર ધ્યાન આપ, આ ટપોરી લોકોમાટે આપણે ક્યાં ટાઈમ બગાડવો. એ તો મહાદેવ એમનું કામ સમય આવે કરશે’.

પણ પ્રભુ મારાથી જોવાતું નથી અને આ ભૂત પિશાચો સ્મશાનમાંથી સીધા સંસદભવનમાં આવી ગયા છે. ગામનો ઉતાર, જે ઉકરડામાં જતો હતો એ હવે ઉચ્છ કક્ષાના અધિકારી/મંત્રી તરીકે સેવાઓ આપે (હકીકતમાં લે ) છે. મનની વાતો કર્યા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ બધા મનમાની પર આવી ગયા છે.

રામ અવતાર વખતે દેવગણ આપની ઈર્ષા કરતા કહેતા હતા કે, શિવજીને કેવી કૃપા કે શ્રીરામ લીલા જોવા માટે એમને તો ત્રણ નેત્રો છે. પણ આજે આપ અહીં શ્રીરામના નામે ચાલતા રમખાણોને એક ઝીણી આંખથી પણ નહિ સાંખી શકો.

અંતમાં આશા રાખું કે આ પત્ર આપનું સરનામું બદલાય એ પહેલા પહોંચે. બાકી જો કોઈ કલાકારે કૈલાશની તળેટીમાં ધ્યાનનું ધતિંગ કરતો એક ફોટો પડાવી લીધો તો સમજો આ પર્વતરાજનું નવું નામકરણ નક્કી. અને આ વખતે તો ચશમા પહેરી રાખવાની ભૂલ પણ નહિ કરે અને મૃગચર્મ – ત્રિપુંડના પુરા ગેટઅપ સાથે આવશે. ( મૃગચર્મ મોહમયી નગરીનો કયો નટ લાવી આપશે એ આપ જાણો છો ). બે ઘડી તો નંદી અને ગણો પણ ભ્રમિત થઇ જશે કે, અરે પ્રભુ તળેટીમાં કેમ બેઠા છે.

હે મહાદેવ, આપ પ્રલય પ્રક્રિયા શીઘ્ર કરો એવી પ્રાર્થના.

લિ.

આપના ચરણકમળમાં સમર્પિત,

એક સ્થિતપ્રજ્ઞ શિષ્ય.


Category : Gujarati Poem

મારી કવિતા



ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;
મારી કવિતામાં નથી,
મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;
મારી કવિતામાં નથી,

ફકત સુરા સાકીની કરે વાહ વાહ,
 એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,
સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,
કાંઈ આભાસીપણું નથી,

પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,
કે અજ્ઞાનનું આંધળાપણું નથી,
કોઈ દંભીનો વાણીવિલાસ, પ્રપંચીનો પાખંડ,
પોતીકું કે પારકાપણું નથી,

આનંદ ઉલ્લાસ અને આત્મચિંતન છે,
રાવ રોકકળ અને રોતલપણું નથી,
રમત રોમાન્ચ અને રમ્યતા છે,
રિક્ત રોષ-દોષ અને ઉચ્છુણખલપણું નથી,

વિરાટ છું હું, તો એવોજ વિચાર આપીશ,
કોઈ અગણ્ય અલ્પ અણુ નથી,
શબ્દોમાં જીવ જગત અને ઈશ્વરને આવરી લીધા,
‘હૃષી’ એય શું ઘણું નથી?



મારા મતે સારો સર્જક એ છે કે જે વાચક માટે નહિ પણ ‘વિચાર’ માટે સર્જન કરે છે. જો વપરાશકારોની ઈચ્છાને અનુરૂપ જ વસ્તુ બનાવવાની હોત તો એપલ કંપની, એક તરબૂચ જેવી બનવાના બદલે હજુ પણ ચણીબોર જેટલી જ હોત. 😉

એ જ રીતે જો વાહવાહી માટે જ કાંઈ લખવું હોત તો હું પણ હજુ ‘ચાંદી જેસા રંગ, સોને જેસે બાલ…’ પર જ અટક્યો હોત. પણ ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે સદબુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને વિવિધ વિચારોને શબ્દોમાં મુકવાની સમજણ મળે જાય છે.

ઘણીવાર વાચકો લેખકના વ્યંગ અને વ્યક્તિગત વિચાર વચ્ચેનો ભેદ સમજતા નથી. તમે કોઈનો વ્યંગ કરો એનો મતલબ એવો નથી કે તમે એનો વિરોધ કરો છો. ખરેખર તો વિરોધ એ વ્યંગની અંદર છુપાયેલા વિચારનો હોય છે, વ્યક્તિ કે સંસ્થા કે સમાજનો નહિ. જયારે કોઈ આધ્યાત્મિક અથવા બીજા કોઈ ગહન વિષય પર રચના હોય ત્યારે જ એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય કે સંવેદના હોય છે. બાકી બધી વ્યંગ રચના તો ફક્ત નિર્દોષ હાસ્ય માટે છે.

હું દંભી નથી અને મારી કોઈ સ્પેસિફિક ઈમેજ – ચોક્કસ માનસિક છબી ઉભી કરાવવાનો ઈરાદો નથી, તેથી હું કોઈ પણ વિષય પર બેધડક મારો સ્વતંત્ર અભિપ્રાય આપી શકું છું.

કવિતાનું માધ્યમ પસંદ કરવા પાછળનો આશય એટલો જ કે, બહુ ઓછા લોકો કવિતા વાંચે છે. વળી, વાંચે એમાંથી ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જો તમે સીધા વાક્યોમાં કોઈ વ્યક્તિ, વિચાર કે દુષણ વિષે બોલો તો આજના સમયમાં સાવધાની રાખવી પડે એમ છે. પરંતુ કવિતામાં તમે કાંઈ પણ કહી શકો છો અને મુર્ખાઓની મગજમારી માંથી છટકી શકો છો. 😉

અંતમાં એ પણ કહેવાનું કે કોઈ ભાષા બચાવવાના, સમાજ સુધારણાના, વ્યસન મુક્તિના, ધર્મ શુદ્ધિના કે જ્ઞાન-પ્રેરણાના ઉપદેશો આપવાના કોઈ પણ ઝંડા લઈને આપણે ફરતા નથી. હું તો બસ બબૂચકોથી બેફિકર રહીને અસ્તિત્વનો આનંદ લૂટું છું અને લૂંટાવું છું. મસ્ત, મોજીલા અને મેધાવી હોય એ જ આવે… પપ્પુઓ માટે પ્રવેશનિષેદ્ધ. 😉