Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Thoughts in Gujarati

ગુજરાતી બાળકનો પત્ર



વિદ્વાન મિત્રો ગંભીર ના બની જાય એના માટે થોડું હાસ્ય

ડોક્ટરો વૈદકીય ઈલાજો સુચવીને ગ્રુપને સ્વસ્થ રાખે છે તો હું થોડા વિનોદ દ્વારા સત્યને ઉજાગર કરતી થોડી ગમ્મ્ત કરીશ.

એક ચેતવણી : સ્ટ્રોંગ રાજકીય મત ધરાવતા મિત્રોએ આગળ વાંચીને મગજની નસો ખેંચવી નહિ. કારણકે લલ્લુ પ્રજા માટે કોઈ પણ સરકાર હોય કાંઈ ફરક પડતો નથી. સો જસ્ટ ચીલ


ગુજરાતના એક નાના બાળકનો દિલ્લીમાં રહેતા એના મમ્મી પપ્પાને પત્ર

( આમાં કયું પાત્ર કોણ છે એ તો આપ સુશિક્ષિત મિત્રો જાણી જ ગયા હશો )

મારા વહાલા મમ્મી પપ્પા,

જય શ્રીરામ સાથે જણાવવાનું કે આપ મારા જેવા ધાવતા બાળકને આમ મૂકીને જતા રહ્યા છો તો મને બહુ એકલું એકલું લાગે છે. જતા પહેલા તમે તો કહેતા હતા કે મારે તો અહીંયા કશુંજ કરવાનું નથી. ફક્ત ઘોડિયામાં ઝૂલવાનું છે અને મમ્મી પપ્પાની આજ્ઞા ઝીલવાની છે. પણ આ કોરોનાના સંકટે  તો બધી બાજી જ બગાડી દીધી છે. મામા ને કાકાઓ કહેતા હતા કે તમે તો કોઈ દીદી જોડે બીઝી છો એટલે આવતા વાર લાગશે. પણ તમે તો ક્યારેય કહ્યું નથી કે મારે એક દીદી પણ છે!

એ જે હોય તે, પણ તમે વહેલા ઘરે આવો. લોકો પણ કહે છે કે કાળીનાગ અને કંસ ગોકુલ છોડ્યા પછી મથુરામાં પાછા દેખાતા નથી. એ કૃષ્ણ અને બલરામની વાર્તા હતી કે કાળીનાગ અને કંસની એ હું ભૂલી ગયો છું પણ એવુજ કંઈક હતું. અત્યારે રામની વાર્તાઓ યાદ રાખવામાં હું એ બધું ભૂલી જાઉં છું, પણ તમે જલ્દી આવો અને મને લોકોના મહેણાંટોણા અને રોષથી બચાવો. જુઠ્ઠું બોલવાના અને ગપ્પા મારવાના સંસ્કારતો આપણા કુળમાં ગળગૂંથીથી જ અપાય છે પણ મને હજુ એટલું બોલતા આવડતું નથી અને મારી કાલીઘેલી વાતોની મીડિયા મજાક ઉડાડે છે. ( જોકે આમ તો  મીડિયા આપનાથી ડરે છે એટલે બહુ કાંઈ વાયરલ થતું નથી એટલી હાશ છે ) 

ચિંતા ના કરતા, મેં ( અને તમે પણ ) આટલું બધું બાફ્યું છે છતાં અહીં તમારો કોઈ ઉધડો નહિ લે. ઉપરથી આ નમાલી પ્રજા તો આપને ફૂલડે વધાવશે.

એક નવું નક્કોર સ્મશાન બનાવીને રાખ્યું છે. આપ આવો પછી જ રીબીન કાપીએ. આશા છે કે ત્યારે પણ સ્મશાનમાં આટલી જ લાઈનો હશે.   (મેડ ઈન ચાઈના છે પણ એ જ લોકો સૌથી વધુ કમિશન આપવા તૈયાર હતા. ખરેખર પપ્પા મેક ઈન ઇન્ડિયા કરે છે પણ આપણા વાળાઓને જયારે પૂછીએ ત્યારે એક જ જવાબ આપે છે કે પોસાતું નથી. કોઈને ધંધો કરતાં જ નથી આવડતું બોલો.)

મમ્મી પપ્પાને કહેજે કે પૈસાની ચિંતા નથી. નોટબંધી વખતના હજુ ચાલે છે. વેન્ટિલેટર બેન્ટીલેટર પાછળ ખોટા ખરચા કર્યા નથી. આમેય 5/10 દિવસે મરવાના જ હોય એમને ક્યાં ટોટીઓ નાખીને હેરાન કરવા. હા એક નવું એરોપ્લેન લીધું છે કારણકે બધા સગાસંબંધીઓ ઘરે રહીને અકળાઈ ગયા છે તો ખાલી ખાલી અમદાવાદ મહેસાણા વચ્ચે આંટા ફેરા મારીને મન હળવું કરીએ છીએ. અને ઉપર રહીને પ્રજાથી સેફ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખીએ છીએ.

લિ.

આપનો ઘોડિયામાં રમતો.. બકુડો ચકુડો…

તા.ક. : આવો ત્યારે કેટલાના ટોળા ભેગા કરવાના છે એ થોડું અગાઉથી જણાવજો કારણકે અત્યારે ઘણા તલાટી અને શિક્ષકો કોરોનાગ્રસ્ત હોવાથી એટલું જલ્દી લોકોને પૈસા ( અને સુરા )ની લાલચે બોલાવી નહિ શકે.


Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))

Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉