Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)

Category : Gujarati Poem

વિષ પ્રસાદ



શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,
એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે,

બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,
અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે,

માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?
મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે?

શિવલિંગ પર જે મંદબુદ્ધિઓ વિવિધ શિરોધારા ધરે,
એ જ પ્રાર્થના કે એના તરકટો પર શિવજી તાંડવ કરે,

આ નરાધમોની નગ્નતા છતી કરી નંદીજી શીંગડે ભરે,
અહંકારીઓને અંતરિક્ષમાં ફંગોળી પૃથ્વીનો ભાર હરે,

અંધ મનુષ્યોની મૂર્ખતા પર બ્રહ્મલોક પણ વ્યંગ કરે,
જુઓ કોઈ પણ યોગ્યતા વગર એ ત્રિનેત્રની પૂજા કરે,

આ શિવરાત્રીએ ભક્ત હૃષી એક જ વિનમ્ર પ્રાર્થના કરે,
પાપીઓને પરાક્રમ બતાવીને હવે શંભુ પુણ્ય પ્રલય કરે.



પ્રતિ,

ભગવાન મહાદેવ શિવશંકર,
કૈલાશ નિવાસ.

વિષય:  પ્રલય પ્રક્રિયામાં ઝડપ કરવા બાબત

હે પ્રભુ ઉમાપતિ શિવજી,

આપ યોગ સમાધિમાંથી જાગો અને જાણો કે કાલકૂટનું વિષપાન કરીને આ પૃથ્વીવાસીઓને બચાવવાની કોઈ જરૂર ન હતી, એના પહેલા એક જાગૃત માનવ તરીકે મારી ફરજ છે કે વહેલામાં વહેલી તકે આપને માહિતગાર કરવા. વળી, આજનો મહાશિવરાત્રીનો અવસર પણ અતિ યોગ્ય છે કારણ કે, આજે આ મૂર્ખ માનવગણ  “હે કૈલાશનિવાસી મારુ કષ્ટ કાપો..’ ની  બૂમો પાડી પાડી ને આપને જગાડવા પ્રયત્ન કરશે. તો હે મહાદેવ, મોકો ચુકતા નહિ અને એમને પણ બુંદ બુંદ વિષપાન કરાવજો. કોઈ દોઢડાહ્યો થાય તો કેજો કે, સંપત્તિ જોઈએ તો શ્રીપતિ પાસે જાઓ, મારી પાસે તો આ કલ્યાણકારી વિષ જ છે. એમાં પણ ભાંગ-ચલમવાળા ચમનોને પ્રાધાન્ય આપજો.

આમતો મેં પહેલા ભગવાન શ્રીકૃષ્ણને રજુઆત કરી હતી અને કહ્યું હતું કે હે બંસીધર હવે ચક્રધર બનવાનો સમય આવી ગયો છે. આ જ વાત, આ જ શબ્દોમાં જયારે પ્રભુ પરશુરામે સાંદિપની ૠષિના આશ્રમમાં કરી ત્યારે તો વાસુદેવ તરત જ તૈયાર થઇ ગયા હતા પણ મારી વાત સાંભળીને એમણે એમના સ્વભાવ મુજબ જ સસ્મિત મને કહ્યું કે,’તું બસ ગીતા અધ્યયન કર અને  સ્થિતપ્રજ્ઞ બનવા પર ધ્યાન આપ, આ ટપોરી લોકોમાટે આપણે ક્યાં ટાઈમ બગાડવો. એ તો મહાદેવ એમનું કામ સમય આવે કરશે’.

પણ પ્રભુ મારાથી જોવાતું નથી અને આ ભૂત પિશાચો સ્મશાનમાંથી સીધા સંસદભવનમાં આવી ગયા છે. ગામનો ઉતાર, જે ઉકરડામાં જતો હતો એ હવે ઉચ્છ કક્ષાના અધિકારી/મંત્રી તરીકે સેવાઓ આપે (હકીકતમાં લે ) છે. મનની વાતો કર્યા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ બધા મનમાની પર આવી ગયા છે.

રામ અવતાર વખતે દેવગણ આપની ઈર્ષા કરતા કહેતા હતા કે, શિવજીને કેવી કૃપા કે શ્રીરામ લીલા જોવા માટે એમને તો ત્રણ નેત્રો છે. પણ આજે આપ અહીં શ્રીરામના નામે ચાલતા રમખાણોને એક ઝીણી આંખથી પણ નહિ સાંખી શકો.

અંતમાં આશા રાખું કે આ પત્ર આપનું સરનામું બદલાય એ પહેલા પહોંચે. બાકી જો કોઈ કલાકારે કૈલાશની તળેટીમાં ધ્યાનનું ધતિંગ કરતો એક ફોટો પડાવી લીધો તો સમજો આ પર્વતરાજનું નવું નામકરણ નક્કી. અને આ વખતે તો ચશમા પહેરી રાખવાની ભૂલ પણ નહિ કરે અને મૃગચર્મ – ત્રિપુંડના પુરા ગેટઅપ સાથે આવશે. ( મૃગચર્મ મોહમયી નગરીનો કયો નટ લાવી આપશે એ આપ જાણો છો ). બે ઘડી તો નંદી અને ગણો પણ ભ્રમિત થઇ જશે કે, અરે પ્રભુ તળેટીમાં કેમ બેઠા છે.

હે મહાદેવ, આપ પ્રલય પ્રક્રિયા શીઘ્ર કરો એવી પ્રાર્થના.

લિ.

આપના ચરણકમળમાં સમર્પિત,

એક સ્થિતપ્રજ્ઞ શિષ્ય.


Category : Gujarati Poem

મારી કવિતા



ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;
મારી કવિતામાં નથી,
મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;
મારી કવિતામાં નથી,

ફકત સુરા સાકીની કરે વાહ વાહ,
 એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,
સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,
કાંઈ આભાસીપણું નથી,

પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,
કે અજ્ઞાનનું આંધળાપણું નથી,
કોઈ દંભીનો વાણીવિલાસ, પ્રપંચીનો પાખંડ,
પોતીકું કે પારકાપણું નથી,

આનંદ ઉલ્લાસ અને આત્મચિંતન છે,
રાવ રોકકળ અને રોતલપણું નથી,
રમત રોમાન્ચ અને રમ્યતા છે,
રિક્ત રોષ-દોષ અને ઉચ્છુણખલપણું નથી,

વિરાટ છું હું, તો એવોજ વિચાર આપીશ,
કોઈ અગણ્ય અલ્પ અણુ નથી,
શબ્દોમાં જીવ જગત અને ઈશ્વરને આવરી લીધા,
‘હૃષી’ એય શું ઘણું નથી?



મારા મતે સારો સર્જક એ છે કે જે વાચક માટે નહિ પણ ‘વિચાર’ માટે સર્જન કરે છે. જો વપરાશકારોની ઈચ્છાને અનુરૂપ જ વસ્તુ બનાવવાની હોત તો એપલ કંપની, એક તરબૂચ જેવી બનવાના બદલે હજુ પણ ચણીબોર જેટલી જ હોત. 😉

એ જ રીતે જો વાહવાહી માટે જ કાંઈ લખવું હોત તો હું પણ હજુ ‘ચાંદી જેસા રંગ, સોને જેસે બાલ…’ પર જ અટક્યો હોત. પણ ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે સદબુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને વિવિધ વિચારોને શબ્દોમાં મુકવાની સમજણ મળે જાય છે.

ઘણીવાર વાચકો લેખકના વ્યંગ અને વ્યક્તિગત વિચાર વચ્ચેનો ભેદ સમજતા નથી. તમે કોઈનો વ્યંગ કરો એનો મતલબ એવો નથી કે તમે એનો વિરોધ કરો છો. ખરેખર તો વિરોધ એ વ્યંગની અંદર છુપાયેલા વિચારનો હોય છે, વ્યક્તિ કે સંસ્થા કે સમાજનો નહિ. જયારે કોઈ આધ્યાત્મિક અથવા બીજા કોઈ ગહન વિષય પર રચના હોય ત્યારે જ એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય કે સંવેદના હોય છે. બાકી બધી વ્યંગ રચના તો ફક્ત નિર્દોષ હાસ્ય માટે છે.

હું દંભી નથી અને મારી કોઈ સ્પેસિફિક ઈમેજ – ચોક્કસ માનસિક છબી ઉભી કરાવવાનો ઈરાદો નથી, તેથી હું કોઈ પણ વિષય પર બેધડક મારો સ્વતંત્ર અભિપ્રાય આપી શકું છું.

કવિતાનું માધ્યમ પસંદ કરવા પાછળનો આશય એટલો જ કે, બહુ ઓછા લોકો કવિતા વાંચે છે. વળી, વાંચે એમાંથી ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જો તમે સીધા વાક્યોમાં કોઈ વ્યક્તિ, વિચાર કે દુષણ વિષે બોલો તો આજના સમયમાં સાવધાની રાખવી પડે એમ છે. પરંતુ કવિતામાં તમે કાંઈ પણ કહી શકો છો અને મુર્ખાઓની મગજમારી માંથી છટકી શકો છો. 😉

અંતમાં એ પણ કહેવાનું કે કોઈ ભાષા બચાવવાના, સમાજ સુધારણાના, વ્યસન મુક્તિના, ધર્મ શુદ્ધિના કે જ્ઞાન-પ્રેરણાના ઉપદેશો આપવાના કોઈ પણ ઝંડા લઈને આપણે ફરતા નથી. હું તો બસ બબૂચકોથી બેફિકર રહીને અસ્તિત્વનો આનંદ લૂટું છું અને લૂંટાવું છું. મસ્ત, મોજીલા અને મેધાવી હોય એ જ આવે… પપ્પુઓ માટે પ્રવેશનિષેદ્ધ. 😉

Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))

Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉