Category : Gujarati Poem

રાજકારણી રંગલો



એક રંગલો છે રંગભૂમિનો ખરો કલાકાર,
એની લીલાનો જનતા કદી ના પામે પાર,

સત્તાભૂખ  એ  જ એના સર્વ કર્મોનો સાર,
ઠેર ઠેર મીડિયામાં એના ગપ્પાનો પ્રચાર,

એક આપીને દસ લેવાનો એનો વ્યવહાર,
લલ્લુ જનતા જાય લુંટાતી બનીને લાચાર,

ઉલ્લુ પ્રજા સુજાવે છે હાસ્યાપદ ઉપચાર,
જમણાને તો બહુ માર્યો હવે ડાબે તું માર,

ગુંડા-લુખ્ખાઓ પર પાર્ટી કરતી ઉપકાર,
બેવકૂફોની ટોળીથી જ એ ચલાવે સરકાર,

એના તોતિંગ તાયફાનો પ્રજા પર બહુ ભાર,
મૂર્ખાઓને મન આ જ તો છે ધરમની સરકાર,

કૃષ્ણ કહે, હૃષી રંગલાઓનો અહીં નથી પાર,
વાઢવા બેસું તો બુઠ્ઠી પડે આ સુદર્શનની ધાર.



બૉલીવુડના કલાકારો પણ દિલ્લીની જાત્રાએ જાય છે કરણકે આ નટનટીઓના ઇષ્ટદેવ ત્યાં શાક્ષાત બિરાજે છે. વર્ષોથી એકના એક જ ગપ્પાંવાળા ડાયલોગ બોલીને બહુમતી કેમ મેળવાય એ કલા એમને હસ્તગત છે.

ધૃતરાષ્ટ્રની સત્તા લોલુપતાએ તો પોતાના જ વંશનો અને સાથે સાથે લખો નિર્દોષોનો નાશ નોતર્યો. કંસે તો સત્તા ટકાવવા વ્રજના અગણિત બાળકોના જીવ લીધા. આખો દેશ આ કથાઓ જાણતો હોવા છતાં કોઈ બોધ લેતો નથી. એ જ સાબિતી છે કે મનુષ્ય જાણે છે ઘણું પણ આચરણ અને બોધ વગર બધું વ્યર્થ છે.

ઉપરોક્ત ઉદાહરણ અત્યારના સત્તા સ્વાર્થી રાજકારણીઓને બખૂબી લાગુ પડે છે. દેશમાં લખો લોકો મરે છે પણ અવતારપુરુષ તો અન્ય પ્રાંતોમાં ધર્મધજા લહેરાવવામાં મશગુલ છે. અરે ભાઈ સત્તા લઈને પણ તારે કરવું છે શું એ તો કહે? દિલ્લીમાં પ્રવર્તમાન સરકાર કોઈ સારા કામ ના કરી શકે એ માટે રાતોરાત કાયદો લાવીને લ્યુટેનન્ટ ગવર્નરની સત્તા વધારીને કેન્દ્ર સરકારે એ તો સાબિત કરી જ દીધું છે કે, “હું સારું તો કરતો નથી પણ કોઈને કરવા દેતો પણ નથી” એ જ સૂત્ર સાથે અમે સબકા વિનાશ હમારા વિકાસના એક માત્ર ધ્યેય માટે કાર્યરત છે.

એક તસુભાર પણ સત્તા જતી ના રહે એની બીક આ અવતારપુરુષને એટલી બધી છે કે એ બધી જગાએ એવા જ મંત્રીઓની નિમણૂંક કરે છે કે એ ફક્ત એમના ધાવણ પર જ નભતા હોય. અત્યારે જયારે એવા સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મંત્રીઓની જરૂર છે કે જે જનસેવામાં ત્વરિત નિર્ણયો લઇ શકે ત્યારે અહીં ફક્ત અબુધ ધાવતા બાળકો જ રમ્યા કરે છે.   

અત્યારે થતા મોટાભાગના મોત માટે સરકારની અણઆવડત જવાબદાર છે. તમને જો એવું લાગતું હોય કે આ કોરોના તો વૈશ્વિક મહામારી છે અને થોડા સમય પછી જતી રહેશે પછી તો જલસા જ છે. તો હે અલ્પબુદ્ધિ વડીલ આ વાત કોતરી રાખો કે આપના દાદાશ્રી અને પિતાશ્રી પણ આવું જ વિચારતા હતા અને એમની વિકેટ પડી ગઈ છે. જો તમે અત્યારે જેમ તેમ બચી જશો અને આવી જ જડતા જાળવી રાખશો તો નજીકના ભવિષ્યમાં તમે પણ પૂરતી તબીબી સુવિધાના અભાવે કે આપના માનીતા મંત્રીશ્રીની અણઆવડતના પ્રભાવે રન આઉટ થશો. વધુમાં આપનો કુલદીપક કે દીપિકા પણ કયા વાવાઝોડામાં હોલવાઈ જશે એની ખબર પણ નહિ પડે. માટે જ કહું છું કે આપના પૂર્વજોએ કરેલી ભૂલોને સુધારો અને એક સુગઠિત સુશાશનયુક્ત સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આજથી જ પાયો નાખો. નહીંતર જો કોરોનામુકત હોવ તો અભણ, લુખ્ખા અને ભ્રષ્ટાચારીઓને વહીવટ સોંપવાનો સ્વાદ તો આપ ચાખી જ રહ્યા છો.


અર્જુન : હે કેશવ, આ પ્રજા કહે છે કે કોઈ વિકલ્પ નથી. શું એ વાત સાચી છે?

શ્રીકૃષ્ણ ( સસ્મિત ઉત્તર આપે છે ) : પાર્થ, વિકલ્પો તો હંમેશા હતા, છે, અને રહેશે. પણ મનુષ્યની મૂર્ખતા દ્વારા એ ઢંકાયેલા રહે છે.

અર્જુન : વાસુદેવ, મારુ મન તો આ અકારણ ઢળતી લાશોના ઢગલા જોઈને વ્યથિત થઇ રહ્યું છે.

શ્રીકૃષ્ણઃ એમના કર્મનોનું ફળ એમને ભોગવવા દે પાર્થ. મેં એમને બુદ્ધિ આપી જ છે. જો ઉદ્ધાર કરવો હશે તો વાપરશે…


Category : Gujarati Poem , Uncategorized

જાગ્રત સમય



મલિન મન મનુજને રાતદિવસ ડહોળે,
ભલે  એ  જાતને ગંગામાં રોજ ઝબોળે,
અલિપ્ત  રહેવું,  ના વહેવું  કોઈ ટોળે,
જાગ્રત તો બસ મનથી મનને જ ખોળે,

ભવિષ્ય  ઓછું એ ભૂતકાળ વાગોળે,
દુઃખી રાહ જુએ ભવિષ્યની કાગડોળે,
સ્થિતપ્રજ્ઞ જ સર્વકાળ સુખી છે ‘હૃષી’,
તત્વજ્ઞ ના ચઢે  કોઈ કાળના હિંડોળે.



માનવ જીવનના બે સૌથી મહત્વના પ્રશ્નો જો કોઈ હોય તો એ છે, જાગૃત અવસ્થા એટલે શું? અને સમય શું છે?  ( સ્પષ્ટતા : મહત્વના એના માટે કે જેનામાં મગજ છે અને જે એ વાપરવા ઉત્સુક છે. બાકીના બેવકૂફો માટે તો બીજા હજારો પ્રશ્નો મહત્વના છે જેની ચર્ચા અત્રે ઉપસ્થિત નથી. )

હકીકતમાં જાગૃત ( enlightened  ) માટે સમયનું અસ્તિત્વ નથી અને જે સમયથી પર થાય છે એ એક સંપૂર્ણ જાગૃત અવસ્થા જ હોઈ શકે. માટે ઉપરોક્ત બંને પ્રશ્નોના જવાબો અંતે તો એક જ સત્ય તરફ નિર્દેશ કરે છે. માટે જ નરસિંહ મહેતા કહે છે કે,

જાગીને જોઉં તો જગત દીસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે …

સામાન્ય બૌદ્ધિક વિચારધારાનો ( common purpose rationality ) પ્રતિવાદ હોઈ શકે કે હોવું કે ના હોવું એ દ્રષ્ટા પર આધારિત કેવી રીતે હોઈ શકે જયારે દ્રશ્યનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આ જ તો બૌદ્ધિકતા અને તાત્વિકતા વચ્ચેનો ભેદ છે. પણ એ ગીતાજ્ઞાન અન્ય કોઈ પ્રસંગે પિરસીશું. અત્યારે ગીતાના સાંખ્યયોગના આ શ્લોકો વધારે સુસંગત છે

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ|
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમત: પરમ||

દેહિનોસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ||

(ગીતા 2.12,13)

અર્થાત, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે  એવું ક્યારેય ન હતું કે હું ના રહ્યો હોઉં કે તું ના રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય. વળી એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહિ હોઈએ. જેમ દેહમાં રહેલો આત્મા આ શરીરમાં બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે, મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનોથી મૂંઝાતો નથી.  

મેં ક્યારેય કોઈ બાળકને ભૂતકાળની વાતો કરતા નથી સાંભળ્યું. કારણ સ્પષ્ટ છે, કે એની પાસે એટલી બધી મોજ આવનારા ભવિષ્યમાં કેદ છે કે એને કદી પાછા ફરીને જોવાનો વિચાર જ આવતો નથી. આવી જ રીતે, કોઈ પણ જીવનની મોજથી ભરેલા વ્યક્તિ પાસેથી તમે ફક્ત ભવિષ્યના અંતરંગ વિચારો સાંભળશો. જો કોઈ ભૂતકાળની વાતો કરી કરી ને પકાવે તો સમજવું કે હવે આ ભાઈ કે બહેન ફક્ત જીવતી લાશ છે.

જે એ સમજી ચૂકયા છે કે જીવન એ કોઈ શરૂઆત નથી અને મૃત્યુ એ અંત નથી એ જ આનંદથી ભરેલા જોવા મળશે.

2020 એ ઈશ્વરે લીધેલી એક surprise test હતી. તમારું પરિણામ જાણવા નીચેના વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરો.

1. બહુ કપરો કાળ હતો 2020

2. હવે 2021 સારું આવે તો સારું

3. આજે કઈ તારીખ છે?

પરિણામ : ઈશ્વરને બીજા હજારો કામ છે, એ કોઈ ડફોળ પૃથ્વીવાસીઓની પરીક્ષા લેવા નવરા નથી. માટે પોતાની જાતને એટલી મહત્વની સમજવાની ભૂલ કરવાવાળા બધા નાપાસ.. હા હા હા… 😉