Category : Gujarati Poem

ફિતૂર



ચહેરા પર જેના કોઈ નૂર નથી,
સૌંદર્ય  હશે  પણ એ હૂર નથી,

સુંદર હશે પણ જો એ શૂર નથી,
ભોટ છે એ નર જે ભરપૂર નથી,

નદી હશે પણ જો કોઈ પૂર નથી,
ઉભરા વગર  કોઈ મશહૂર નથી,

પામવો દુષ્કર હશે પણ દૂર નથી,
ઈશ્વર તો પ્રેમ છે, એ નિષ્ઠુર નથી,

કુદરત કાતિલ  હશે પણ ક્રૂર નથી,
પાપ-પુણ્યનો એ કોઈ દસ્તૂર નથી,

હૃષીનું જ્ઞાન લેવામાં કોઈ ફિતૂર નથી,
પણ શબ્દો વાંચવા કોઈ મજબૂર નથી.



ફિતૂર – દોષ , રાજદ્રોહ
દસ્તૂર – ધર્મગુરુ , રિવાજ ( પણ આ અર્થ લેવાનો નથી )

લોકો કહે છે કે રામ અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા અને અયોધ્યા જળહળી ઉઠી. એ જ પરંપરા હેઠળ દિવાળી ઉજવાય છે. ઘટના સાચી હશે પણ અર્થઘટન સાથે હું સંમત નથી. મારા મતે તો એમ કહેવું જોઈએ કે રામના આગમનથી અયોધ્યા જળહળી ઉઠી. શું ભલા લખો કરોડો દીવડાઓ સૂર્યનો પથ અજવાળી શકે? ભગવાન રામ એ જ કોટી કોટી સૂર્યોનું તેજ છે. જનસમુદાય ફક્ત એના ગુણ અને ચારિત્રના તેજનું પ્રતિબીંબ જ જો હૃદયમાં ધરે તો પણ રોજ દિવાળી થાય. 

જયારે અશોકવાટિકામાં રાવણે સીતાને કહ્યું કે, હું વચન આપું છું કે મંદોદરી સહીત બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, શરત એ કે તું ફક્ત મારી સામે એક વાર જુવે. જવાબમાં સીતા કહે છે કે,

સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કી નલિની કરઈ બિકાસા … ( રામચરિતમાનસ )
અર્થાત – હે દસાનન, શું કોઈ કમળ ક્યારેય આગિયાના પ્રકાશથી ખીલે છે? (કહેવાનો મતલબ કે કમળ તો ફક્ત સૂર્યપ્રકાશમાં જ ખીલે)

પછી તુલસીદાસજી કહે છે કે..

આપુહિ સુની ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી અસિ બોલા અતિ ખિસિઆન…
અર્થાત – પછી (સીતાના મોઢે ) પોતાને આગિયો અને રામને સૂર્ય સમાન, જેવા કઠોર વચન સાંભળીને રાવણ તલવાર કાઢીને ખિજાઈને બોલ્યો…

સીતાના ઉત્તરમાં પોતાના પ્રેમી-પતિના સામર્થ્ય અને બીજા અધૂરા વ્યક્તિની ઉણપની સરખામણી કરતો કેવો અદભુત કટાક્ષ છે. Isn’t it so romantic? 😉

બાહ્ય પ્રકાશ અંદરના અંધારાને ભગાડી નથી શકતો. આકર્ષક બનવા માટે પહેલાં તો ભરેલા હોવું જરૂરી છે અને પછી આનંદ માટે ઉભરાતા હોવું જરૂરી છે. અને આ પછી પણ શક્તિ બચી હોય અને રેલાતા રહો તો વિકાસ થાય અને નવી નવી જગાઓ સુધી પહોંચાય. ખાલી લોકો જ બીજાના પ્રેમ, સહારા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. જો આ દિવાળીના તહેવારમાં નવા વર્ષે પોતાની જાતને ખરેખર કશાથી ભરવી હોય તો એ ભગવાન શ્રીરામથી વિશેષ શું હોઈ શકે? જો એમ કરી શકો તો પછી પોતાના વ્યક્તિત્વની અધૂરપને ફિલ્ટરવાળી સેલ્ફીઓના લાઈકથી ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરવાની, કે પોતાની સત્તા-સંપત્તિથી તમારા જેવાજ બીજા અધૂરા મનુષ્યોને આંજીને સોસીયલ મીડિયામાં વાહવાહીની લાઇક્સની જરૂર નહિ પડે. 😉 😉

જય શ્રીરામ. 🙂

Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Gujarati Poem

ઈશ્વરની હયાતીનો દાખલો માગવાવાળા મુર્ખાઓ જોગ



પૂછ્યું જો ઈશ્વરને કે તું જો હોય તો પુરાવો આપ,
બોલ્યા પ્રભુ, હે વત્સ પહેલાં તું તારું કદ તો માપ,

ગોખ અને ચોકના નામે મને તું કોઈ હદ ના આપ,
મૂર્ખ, ક્યારે સમજાશે તને કે મારો વ્યાપ છે અમાપ!

ભલે મેં કહ્યું કે મારો અંશ છે તું, પણ સ્વતંત્ર છે તું,
હું નથી તારો મદારી અને તું કોઈ કરંડિયાનો સાપ,

શું  કરીશ  હું  લઈને તારા આ બધા પુણ્ય ને પાપ,
તું જ રાખ તારા આ મંદિર, મસ્જિદ, માળા ને જાપ,

જાણીશ  મને, જયારે છોડીશ તારા અહંકારી આલાપ,
માટે પ્રથમ તો તું તારા અજ્ઞાનના આ આવરણો કાપ.



એક તરફ ‘જો ઈશ્વર ખરેખર હોય તો પુરાવો આપે‘ ની પીપુડીઓ વગાડવાવાળા ઓછા નથી, તો બીજી તરફ નવરાત્રી દરમ્યાન બૂમો પાડી પાડીને, ‘હે માં દર્શન આપો અને આ ભવદુઃખ કાપો‘ વાળા માનસિક-દરિદ્ર, દુઃખી અને દંભી પાપાત્માઓ પણ ઓછા નથી. આવા બન્ને બાળબુદ્ધિઓને માતાજીનો સપ્રેમ સંદેશ છે કે, 1.) જ્યાં પુરાવા માંગવાના છે ત્યાંતો પાટલુન પલાળો છો. ઉ.ત. રસ્તા પર ખાડા કેમ પડે છે?, મહામારીમાં લોકો કેમ મરે છે?, કોઈ જો ખાતો નથી તો હજારોની રેલીઓના એ પેટ કેમ ભરે છે?.. વગેરે વગેરે  અને 2.) જો ભવાઈ કરનારાને જ તમે ભગવાન માનોછો તો એમને જ તમારા ભવદુઃખ દૂર કરવાનું કહો ને, સંસંદભવનનું સરનામું આપું? 😉    

પહેલા નોરતે માતાજીનો આવો સંદેશો લઈને ઘરે જતો હતો ત્યાંજ કોઈ ચૂંટણી પછીની જનઆશીર્વાદ યાત્રાએ રસ્તો રોકેલો હતો. આશીર્વાદની યાત્રાને શાપ આપતો આપતો હું રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભો રહ્યો ત્યારે ખબર પડી કે બાજુમાંતો મરઘાં-ઉછેર વાડો (Poultry Farm) છે. રાજકારણ યાત્રાના ગપ્પા-સૂત્રોચ્ચાર સાંભળવા કરતાં મેં બાજુના પાંજરામાં ચાલી રહેલો બે મરઘીઓ વચ્ચેનો સંવાદ સાંભળ્યો.

પ્ર.મ. (પ્રથમ મરઘી) – બેન આપણેતો લકી છીએ. આગળની પેઢી કરતા થોડા દિવસ વધુ જીવીશું.

દ્વિ.મ. (દ્વિતીય મરઘી) – કેમ? મનેતો થયુ કે આ બહાર થતા ફટાકડાના અવાજ અને ધુમાડામાં આજે જ મરી જઈશું. કોઈને એમ પણ નથી થતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા પાંજરા ગોઠવે કે જેથી હવાની અવરજવર સારી રહે.

પ્ર.મ.: શું કેમ? અલી નવરાત્રી છે. માટે આ દંભી બબૂચકો 10 દિવસ ચિકન નહિ ખાય.

દ્વિ.મ.: એ વાત તો સાચી. ચારેબાજુથી દેખાતા આ માનવ સમુહોના રાક્ષસી રાસમાં હું તો ભૂલી જ ગઈ કે નવરાત્રી છે. પણ આ તર્ક નથી સમજાતો કે 10 દિવસ ચિકન ના ખાવાથી શું ફરક પડે? આજીવન તો આ લોકો આડા ધંધા મુકવાના નથી !

પ્ર.મ.: બેન એક વાત યાદ રાખ, આ ભારત દેશ છે. અહીં તર્ક અને બુદ્ધિની વાત નહિ કરવાની. સાંભળ, ગયા જનમમાં હું ઉડી શકે એવું પક્ષી હતી અને એક વાર ખુબ ઉંચે ઉડીને હું સ્વર્ગ સુધી ગઈ હતી અને ત્યાં મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો…

દ્વિ.મ.: અરે કોઈ પક્ષી કેવી રીતે એટલું ઉપર ઉડી શકે? કારણકે થોડા ઉપર ગયા પછી તો હવા પણ નથી હોતી અને પક્ષીને ઉડવા માટે હવા જોઈએ!

પ્ર.મ.: શટ અપ બીચ. સોરી સોરી આ રસ્તે જતા લોકોએ મારી ભાષા થોડી બગાડી દીધી છે….  યાર, કીધું ને કે આ દેશમાં લોજીક નહિ લડાવવાનું. સોરી, સામે ચોંટાડેલા પેલા પ્રજાવત્સલ ગપ્પીદાસ રાજાનું પોસ્ટર જોઈને મેં પણ હાંકે રાખ્યું અને ભૂલી ગઈ કે સામે મૂર્ખ મનુષ્ય નહિ પણ એક સમજદાર મરઘી છે. પણ હા એ વાત સાચી કે મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો. મહર્ષિ નારદ દેવી સરસ્વતીને પૂછતાં હતા કે આ દેશમાં કેમ આપની કૃપા નથી અને મોટાભાગના મનુષ્યો કેમ આટલા મૂર્ખ છે? અને દેવીએ થોડા ચિડાઈને જવાબ આપ્યો હતો કે, સોરી મહર્ષિ, પ્લીઝ ડોન્ટ ટેક ઈટ પર્સનલી, પણ આ ડફોળશંકરોને વીણા અને તંબુરા વચ્ચેનો ભેદ પણ ખબર નથી તો શું કરીએ….

દ્વિ.મ.: પ્રજાવત્સલ??!! પ્લીઝ ગીવ મી અ બ્રેક … આનોતો ફોટો જોઈને જ મને કોઈ મહાતાંત્રિક લાગે છે. વળી એવું પણ સાંભળ્યું છે કે લોકોને દર ચોમાસામાં રસ્તા પરના ખાડામાં પાડીને તો એ નરબલી ચઢાવે છે!

પ્ર.મ.: જો બેન, બુદ્ધિમાન લોકોના આર્ટીકલો વાંચ્યા વગર, આપણા માલિકે સામે મુકેલા ટીવીમાં આવતી ન્યૂઝ ચેનલોમાં આ રાજાની યશગાથાઓ સાંભળ તો જ તને એનો મહિમા સમજાશે. આ રાજાથી પોતાની પ્રજાના દુઃખ જોવાતા નથી એટલે તો બિચારો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવે છે.

દ્વિ.મ.: ભલે ભલે, હું તારી વાતથી સહમત તો નથી પણ આપણે થોડા મનુષ્યો છીએ કે હલકટ રાજકારણીઓના માટે અંદર અંદર ઝગડી પડીએ. પણ એક વાત કહે કે આના પોસ્ટર અહીં મરઘાંઘરમાં કોણે લગાવ્યા છે??  આપણે થોડા વોટિંગ કરવાના છીએ ?

પ્ર.મ.: બેન વાત તો તારી સાચી છે પણ આ દેશમાં ખરેખર ક્યારેક તો મરઘાં-બકરાં ને માણસો વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ પડી જાય છે. કોઈ ઉત્સાહી પાર્ટી કાર્યકરે લગાવ્યા હશે. આ પાર્ટી કાર્યકરો તો પેલું ક્રિકેટ કોમેન્ટ્રીમાં કહે છે ને કે “જોશમે આકે હોશ ખો બૈઠે” જેવા જ નંગ હોય છે. સારું છે કે આ દેશમાં ટોયલેટ-પેપર નથી વપરાતા, નહીંતર ત્યાં પણ પોતાના પ્રધાનોના ફોટા ચીતરાવીને મફત વહેંચે એવા છે….

આ સાંભળીને તો મારાથી ખડખડાટ હસી પડાયું અને ત્યાં જ જન-આશીર્વાદ વરઘોડો આગળ જતા રસ્તા પર જગા થઇ અને હું જય અંબે બોલીને ઘર તરફ આગળ વધ્યો… 😉

Category : Gujarati Poem

જન્માષ્ટમી



વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,
અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,
જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,
તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું?


ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ કરું,
આદત જ ક્યાં છે મને કે ગોળગોળ વાત કરું,
જાતને ભૂલવા હૃષી સક્ષમ હોવ તો કહેજો મને,
પળમાંજ પરમેશ્વરને ચર્તુભુજ રૂપે સાક્ષાત કરું.



ગત સપ્તાહે આંશિક ભારત ભ્રમણ કરતાં કરતાં મારે વૃંદાવન જવાનું થયું. આમ તો કહેવાતા પવિત્ર ધામોને હું દૂરથી જ પ્રણામ કરું છું પણ આ કેસમાં ગયા વગર છૂટકો નહોતો. વળી મનમાં એમ પણ હતું કે આપણા પરમ ગુરુ અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભૂતકાળની લીલાભૂમિ લગભગ બે દસકા પછી જોઈએ તો ખરા કે કેવી પરિસ્થિતિમાં છે. 

ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાનો ત્રિવેણી સંગમ આવતાની સાથે જ અણસાર આવી ગયો કે ‘પવિત્ર ધામ’ નજીકમાં જ હશે. જે મિત્ર અને એના માતાપિતા સાથે આ યાત્રા હતી એ આમ તો મારા વિચારોથી સુપરિચિત છે જ પણ તેમ છતાં મેં સ્પષ્ટ કરી દીધું હતું કે કાર પાર્ક થયા પછી ‘દર્શનાર્થીઓ’ એમના રસ્તે અને હું મારા રસ્તે. વૃંદાવનની ગલીઓમાં ડગલે ને પગલે ગાંધીછાપના વિનિમયથી કરાવતા VIP દર્શનરૂપી કન્યાઓના માંગા એક વિરક્ત સાધુની જેમ ઠુકરાવતો, જાણે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા હોય એને છાણથી ઢાંકીને પોતાનો પ્રેમ દર્શાવવા આતુર બનેલી  અને શ્રીકૃષ્ણના ગમન બાદ સુધબુધ ખોઈ બેઠેલી ગોપીઓની જેમ રખડતી બનેલી ગાયોથી મારી જાતને બચાવતો બચાવતો હું વસુદેવની જેમ મારા હૃદયના ટોપલામાં રાખેલા શ્રીકૃષ્ણ સાથે આગળ વધી રહ્યો હતો.

તે દરમ્યાન મિત્ર કુટુંબની ધીરજ અને સહનશક્તિ ખૂટતાં, એમનાથી થયેલા VIP દર્શનના આશીર્વાદના સ્વીકારરૂપી સંયમચ્યુતના સમાચાર મળ્યા. સાથી સૈનિકોના પક્ષપલટાથી મનમાં થોડું દૂખ તો થયું પણ ઈશ્વરને ગમ્યું તે ખરું અને થયું કે વિશ્વામિત્ર પણ જો મેનકાથી ચલિત થયા પછી પણ બ્રહ્મપદ પામી શકે તો મારા સાથીઓ પણ પછી પ્રાયશ્ચિત કરી લેશે અને મોક્ષમાર્ગે આગળ વધશે.

મંદિર જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ (મૂર્ખ)માનવ મહેરામણ આગળના રસ્તાને ઘેરી વળ્યું હતું. વસુદેવને યમુનાનું જળ જેમ ગળાથી ઉપર વધીને માથા સુધી પહોંચતા જેવી થઇ હશે એવી જ રૂંધામણ મને શરુ થઇ. પણ શ્રીકૃષ્ણને કૃપાસાગર એમ થોડા કીધા છે? જેમ બાળકૃષ્ણે પિતા વસુદેવ માથેના ટોપલામાંથી પોતાનો પગ બહાર કાઢીને જેવો પોતાનો અંગુઠો યમુનાની તોફાની ધારામાં ઝબોળ્યો કે તુરત જ ભગવાનના ચરણસ્પર્શથી ધન્ય થયેલી યમુનાએ વસુદેવને માર્ગ કરી આપ્યો , તેમ કોઈ ચમત્કાર થાય એની હું રાહ જોતો હતો પણ તેવામાં જ એક આકાશવાણી થઇ જે કદાચ મને એકલાને જ સંભળાઈ. આકાશવાણી બોલી ઉઠી કે હે હૃષી, એ તો દેવી યમુના હતી કે માર્ગ આપ્યો, પણ આ જડ-સમુદાય તો પ્રભુ સ્વયં આવીને ધક્કા મારે તો પણ નહિ હટે , માટે એક જ્ઞાની ભક્ત થઈને આવી ઈચ્છા કરીને પ્રભુને ધર્મસંકટમાં ના મુકીશ.

જેવી ઈશ્વર ઈચ્છા સમજીને મેં કદમ પાછા વળ્યાં ત્યાં જ ચમત્કાર થયો. અચાનક જ એક બૂકસ્ટોર પ્રગટ થયો અને મારે બ્રહ્મસૂત્ર અને ગીતાભાસ્યો વિષે જે પુસ્તકો ઘણા સમયથી જોઈતા હતા તે મળ્યા. વળી, શ્રીવિષ્ણુ અને શંકર જોડીમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ, બે સાધુઓ પણ ત્યાં આવ્યા અને મારા હાથમાંના પુસ્તકો જોઈને થોડી ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. બસ આ જ્ઞાન પ્રસાદ લઈને હું પાછો કાર પાર્કિંગ એરિયામાં આવ્યો. જેવા અમે કારમાં બેઢા કે મિત્રની મમ્મીએ ડ્રાઈવરને પ્રશ્ન કર્યો કે, “તમે પણ દર્શન કર્યા કે નહિ?”. ડ્રાઈવરે જવાબ આપ્યો,”બહેનજી, હું તો અહીંયા આવતો જતો રહું છું એટલે તમને દર્શન થયા એટલે બસ. વળી, મારા માટે તો મારા માતાપિતા જ તીર્થ સમાન છે એટલે બીજા તીર્થોના દર્શન થાય ના થાય એનો કોઈ ગમ નથી….”. આ જવાબ સાંભળીને મારાથી પ્રસન્નતાથી હસી પડાયું ને થયું કે આ જ તો ભગવાન શ્રીકૃષ્ણની સ્ટાઇલ છે કે હંમેશા છેલ્લા બોલે સિક્સર મારવી …. 😉

ઘરે આવીને જયારે બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણ સાથે હું ચા-કોફી પીતો હતો ત્યારે મેં આ વાત છેડી. તો ઈશ્વર હસતા હસતા બોલ્યા, એમ કાંઈ હું વૃંદાવન છોડીને દ્વારકા આવ્યો હતો. અને લલ્લુ લોકોએ ત્યાં પણ હેરાન કરવાનું ના છોડ્યું તો દ્વારકા પણ મારે સમુદ્રમાં અદ્રશ્ય કરવી પડી… છેવટે મેં પૂછ્યું કે આ બિર્થડેમાં લોકો એવું શું કરે તો આપને ગમશે. પ્રભુનો સસ્મિત પ્રત્યુત્તર હતો કે લોકો પોતાના નાનકડા દીકરા દીકરીઓને કાનુડો ને રાધાના વાઘા પહેરાવે છે એ તો બધું ઠીક છે પણ જો એની સાથે મેં આપેલા ગીતાજ્ઞાનના બે શબ્દો પણ સંભળાવતા અને સમજાવતા હોય તો સારું. કારણકે એના વગર અત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈક માટે કપડાં થકીજ બનેલા કાનૂડાઓ મોટા થઈને કંસ જેવા કપૂત અને રાધાઓ રોતડ ને વેવલી બનીને રહી જશે… 🙂


Category : Gujarati Poem

સંબંધ અને સમજ



સૌરમંડળ જેવા હોય છે સંબંધો,
સૌ પોત-પોતાની ધરી પર ફરવામાં તન્મય છે,
એક ડગલું આગળ ભરો તો બળવાનો,
જો ડગલું પાછળ મુકો તો ઠરી જવાનો ભય છે

સૂર્ય તો છે સ્વયંમાં અચળ,
ગ્રહોની ભ્રમણામાં જ એનો અસ્ત કે ઉદય છે,
હૃષી બુદ્ધિ તો જાણે છે બધું,
પણ લોકોને ગોળ ગોળ ઘુમાવતું તો હૃદય છે

##

બ્રહ્માંડની વિશાળતા છે અપાર,
હર ક્ષણ ક્યાંક સર્જન તો ક્યાંક પ્રલય છે,
મર્મ સમજ્યો એને મળ્યો મંઝિલનો સાર,
જેમાંથી છે ઉદ્દભવ અંતે એમાં જ વિલય છે

બધાની એ જ છે ફરિયાદ,
કે સફર છે લાંબી ને ઓછો સમય છે,
છતાં ઉતાવળનો કોઈ અર્થ નથી હૃષી,
આનંદ એ જ પામે જેનો સર્વ સ્થિતિમાં એક જ લય છે



મનુષ્ય જ નહિ પરંતુ કોઈ પણ જીવના  ( પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરે ) અસ્તિત્વનું અભિન્ન અંગ છે ‘સંબંધો’. મનુષ્યની જ વાત કરીએ તો ઘણા જન્મ સાથે જ જોડાયેલા હોય છે ( જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન વગેરે ) અને બાકીના સમય સંજોગોને આધારે બનતા હોય છે. શું તમે કહી શકો કે આપણા જીવનમાં સંબંધો વધારે અગત્યના છે કે આપણા અસ્તિત્વ વિશેની સમજણ? બીજા શબ્દોમાં, શું સમજણ પહેલાં કે સંબંધ? સમજણ હોય તો જવાબ સરળ છે નહીંતર એ આવે નહિ ત્યાં સુધી રાહ જોવી પડશે 😉

હવે જો હું એમ પુછું કે શું સમજણ વગર કોઈ સંબંધને જાણી શકે? જો આ સવાલનો જવાબ તમે વિચારી શકો તો કદાચ બધા સંબંધોનું તથ્ય તમને સમજાઈ જશે. જે વ્યક્તિનો માનસિક વિકાસ થયો નથી એવા વ્યક્તિને મન કોઈ પણ સંબંધનું અસ્તિત્વ હોતું નથી. જેમ કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ગમેતેને ગમેતે કહેશે કે પછી ગમેતેમ વર્તશે. આપણા બધાજ સંબંધોના સ્વાસ્થ્યનો આપણી માનસિક પરિપક્વતા સાથે સીધો સંબંધ છે.

શરીર, મન અને વ્યવસાય સંબંધી તમામ સંબંધો માંથી મળતા સુખ-દુઃખ માટે તમારી સમજણ જવાબદાર છે. કોઈ કહેશે કે, હું તો સમજદાર છું પણ મારી પત્ની કે પતિ જો ના સમજે અને મને દૂખી કરે તો? સૌ પ્રથમ તો આવો સવાલ કોઈ સમજદાર વ્યક્તિ ક્યારેય નહિ પૂછે. કારણ કે જયારે તમે પોતે જ સમજદાર નથી હોતા એવી અવસ્થામાં જ નાસમજ વ્યક્તિ જોડે સંબંધ બાંધો છો. મનોવિજ્ઞાનીઓ  ( psychologist ) એને મુગ્ધાવસ્થા કહે છે પણ સ્પષ્ટ શબ્દોમાં એ મુર્ખાવસ્થા છે. 😉

માનસિક પરિપક્વતાની સર્વોચ્ચ અવસ્થા પર કોઈ પણ સાંસારિક સંબંધોનું અસ્તિત્વ નથી. તત્વજ્ઞાન સમજ્યા વગર કોઈ તૂટી પડે એ પહેલાં કહી દઉં કે, ‘અસ્તિત્વ નથી’ એનો મતલબ એ કે સમજણ વગરના માણસો જે રીતે ભય-લોભના સંબંધો રાખે છે એની વાત થાય છે અને નિમ્ન સ્તરના સંસારનો પાયો જ સ્વાર્થ છે. કોઈ અણસમજુ કહેશે કે એવી આસક્તિ વગરની અવસ્થા તો સાવ નીરસ જીવન કહેવાય. હકીકતમાં એ જ અવસ્થા પામ્યાં પછી તમે જીવન નામની અમૂલ્ય ભેટને ખરેખર આનંદ પૂર્વક માણી શકો છો. લોક વ્યવહારની બાલિશતા જયારે સમજાય છે ત્યારે જ જિંદગીના બધા ગમ જતા રહે છે અને ઘર-ઘરની ગમ્મતથી તમે ઉપર ઉઠી જાઓ છો. 🙂

જિંદગી જો એક ટ્રેનની સફર હોય તો, તમે અચાનક જ કોઈ ડબ્બામાં આવી પડ્યા છો. હવે એ તમારા પર છે કે આ સફરને આનંદથી માણવી કે પછી ફરિયાદો કરીને દૂખી થયા કરવું કે, આ મારો ડબ્બો નથી, હું તો ફલાણા વર્ગના ડબ્બાના જ લાયક છું, મારાથી ભિન્ન રંગ, જાતિ, શિક્ષણ કે ધર્મવાળા સહયાત્રીઓ સાથે મને ના ફાવે… જુઓ ભાઈ, જે આ ટ્રેન, રેલવેસ્ટેશન અને સમગ્ર બ્રહ્માંડનો માલિક છે એને બધી જ ખબર છે કે તમે કયા ડબ્બાના લાયક છો. એટલે ખોટી ફરિયાદોમાં ટાઈમ બગાડવો નહિ અને એટલો સમય પોતાની જાતના વિકાસ માટે ફાળવવો, તો કદાચ આગળની કોઈ સફરમાં તમને બીજો ડબ્બો કે બીજા સહયાત્રીઓ કે કોઈ સિનિક રૂટ મળશે. બાકી રડારોળ કરો કે સફરને રંગીન બનાવો, દરેક યાત્રીનું છેલ્લું સ્ટેશન એને ખબર જ છે…તો પછી બાજુવાળા માસીના થેપલા ખાઈને જલસા કરોને મોટાભાઈ. ક્યાં કોઈ ગપ્પીદાસ કજિયારા કાકાઓની વાતોમાં આવીને લેવાદેવા વગરની ધમાલ મચાઓ છો. 😉