Category : Gujarati Poem , Videos In Gujarati

મને ગમતો ઝંઝાવાત



નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,
પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,
આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

પવનના સથવારે તને પાનો ચઢે,
દુષ્ટ દરિયા તું કેમ ના છાનો પડે,
શેનો તને આટલો ઘુઘવાટ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

ખજાનાતો દિલમાં મારા પણ અમાપ છે,
મોતી થકી જ દરિયામાં પડું, ના એવી કોઈ વાત છે,
બસ તારા વિકરાળ મોજાને મારે આજ દેવી માત છે,
જોઈલે આ ભુજાઓ સામે તારી ભરતીની શી વિસાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

લાવ તારા ઊંડાણમાં ઉતરું,
અંધારપટમાં અજવાળા ચીતરું,
આજ તું કેમ છુપાવીશ, વણઉકેલ્યો તારો જે ભાગ છે,
રોકી શકે તો રોક, આજ મેળવવો મારે તારો તાગ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

કૃષ્ણ જેમ મથુરા મેલી દ્વારકા ગયા,
આટ-આટલી ધરા છોડી વિષ્ણુ ક્ષીરસાગરમાં રહ્યા,
તો આપણે પણ કિનારો શોધવાની ક્યાં વાત છે,
‘હૃષી’, બસ મને ગમતો આ ઝંઝાવાત છે…



મચ્છર મારી મારીને કોઈ મહાન બનતું નથી. વળી, મહાપરાક્રમી બનાવા માટે એટલું જ તપ કરવું પડે છે. વ્યક્તિનો આંતરિક સ્વભાવ, સંસ્કાર અને પોતાની જાતને ઉન્નત કરવા આદરેલા પ્રયત્નોના ફળ સ્વરૂપ જ એની ગતિ હોય છે.

એક સંસ્કૃત સુભાષિત કહે છે કે, જયારે વનમાં અંધારી અને ધોધમાર વરસાદી રાતે ભયંકર વીજળીના કડાકા થાય છે ત્યારે બીકણ શિયાળવા રડતા રડતા ઘરમાં ઘુસી જાય છે. પરંતુ સ્વભાવથી જ વનરાજ એવો સિંહ, જાણે એ વીજળીના કડાકા એને પડકારી રહ્યા હોય એમ, પોતાની ગુફામાંથી બહાર આવીને આકાશ સામે એટલી જ ભયંકર ગર્જના કરે છે. 

એ જ રીતે મનુષ્ય સામે સૌથી મોટો પડકાર એના મનને જીતવાનો છે. જે મનને આધીન છે એ હંમેશા ગુલામ છે અને જેણે મનને વશમાં કરી લીધું છે એ સ્વભાવે જ સર્વસ્વનો સ્વામી છે. સમુદ્રના વિકરાળ મોજા જેવા પરિસ્થિતિઓના પડકારો અને પ્રલોભનો મનુષ્યના મનને વિચલિત કર્યાકરે છે. જે આ વિકટ સમુદ્રને પાર કરી શકે છે એ જ ખરેખર કઈંક પામી શકે છે. ઈશ્વર એ કહેવાય છે કે છે સમુદ્રમંથન  ( શાસ્ત્રોમાં આવતા આ બધા એક જાતના રૂપકો છે, પણ મૂર્ખ પ્રજા એનો શાબ્દિક અર્થ શોધે છે) અર્થાત પરિસ્થિતિ જન્ય પ્રાપ્ત થતા વિષ અને લક્ષ્મીને સમાનભાવે સ્વીકારે છે અને એમના મન એક રતીભાર પણ ક્ષોભ કે ગર્વ પામતા નથી.

ઇહૈવ તૈર્જિત: સર્ગો  યેષાં સામ્યે સ્થિતં મનઃ||
(ગીતા – 5.19)

અર્થાત, જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સમસ્ત સંસાર જીતી લીધો છ…

આ કવિતા આવા જ વિરલ વ્યક્તિઓને સમર્પિત છે જેમને મન પડકારોને પરાસ્ત કરાવવામાં એક મોજ છે. રોતડ અને માયકાંગલા લોકો મને ક્યારેય ગમ્યાં નથી. આવા જ સમુદ્ર જેવા ગહન પણ સાથે સાથે અસ્તિત્વના આનંદની મોજ ના હિલોળા લેતા લોકોનો સંગ જ મને ગમે છે.

જવાની જાણે એક શક્તિ આસમાની…
ગગનમાં ઘૂમતી જાણે ભવાની…


Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)

Category : Gujarati Poem

વિષ પ્રસાદ



શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,
એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે,

બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,
અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે,

માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?
મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે?

શિવલિંગ પર જે મંદબુદ્ધિઓ વિવિધ શિરોધારા ધરે,
એ જ પ્રાર્થના કે એના તરકટો પર શિવજી તાંડવ કરે,

આ નરાધમોની નગ્નતા છતી કરી નંદીજી શીંગડે ભરે,
અહંકારીઓને અંતરિક્ષમાં ફંગોળી પૃથ્વીનો ભાર હરે,

અંધ મનુષ્યોની મૂર્ખતા પર બ્રહ્મલોક પણ વ્યંગ કરે,
જુઓ કોઈ પણ યોગ્યતા વગર એ ત્રિનેત્રની પૂજા કરે,

આ શિવરાત્રીએ ભક્ત હૃષી એક જ વિનમ્ર પ્રાર્થના કરે,
પાપીઓને પરાક્રમ બતાવીને હવે શંભુ પુણ્ય પ્રલય કરે.



પ્રતિ,

ભગવાન મહાદેવ શિવશંકર,
કૈલાશ નિવાસ.

વિષય:  પ્રલય પ્રક્રિયામાં ઝડપ કરવા બાબત

હે પ્રભુ ઉમાપતિ શિવજી,

આપ યોગ સમાધિમાંથી જાગો અને જાણો કે કાલકૂટનું વિષપાન કરીને આ પૃથ્વીવાસીઓને બચાવવાની કોઈ જરૂર ન હતી, એના પહેલા એક જાગૃત માનવ તરીકે મારી ફરજ છે કે વહેલામાં વહેલી તકે આપને માહિતગાર કરવા. વળી, આજનો મહાશિવરાત્રીનો અવસર પણ અતિ યોગ્ય છે કારણ કે, આજે આ મૂર્ખ માનવગણ  “હે કૈલાશનિવાસી મારુ કષ્ટ કાપો..’ ની  બૂમો પાડી પાડી ને આપને જગાડવા પ્રયત્ન કરશે. તો હે મહાદેવ, મોકો ચુકતા નહિ અને એમને પણ બુંદ બુંદ વિષપાન કરાવજો. કોઈ દોઢડાહ્યો થાય તો કેજો કે, સંપત્તિ જોઈએ તો શ્રીપતિ પાસે જાઓ, મારી પાસે તો આ કલ્યાણકારી વિષ જ છે. એમાં પણ ભાંગ-ચલમવાળા ચમનોને પ્રાધાન્ય આપજો.

આમતો મેં પહેલા ભગવાન શ્રીકૃષ્ણને રજુઆત કરી હતી અને કહ્યું હતું કે હે બંસીધર હવે ચક્રધર બનવાનો સમય આવી ગયો છે. આ જ વાત, આ જ શબ્દોમાં જયારે પ્રભુ પરશુરામે સાંદિપની ૠષિના આશ્રમમાં કરી ત્યારે તો વાસુદેવ તરત જ તૈયાર થઇ ગયા હતા પણ મારી વાત સાંભળીને એમણે એમના સ્વભાવ મુજબ જ સસ્મિત મને કહ્યું કે,’તું બસ ગીતા અધ્યયન કર અને  સ્થિતપ્રજ્ઞ બનવા પર ધ્યાન આપ, આ ટપોરી લોકોમાટે આપણે ક્યાં ટાઈમ બગાડવો. એ તો મહાદેવ એમનું કામ સમય આવે કરશે’.

પણ પ્રભુ મારાથી જોવાતું નથી અને આ ભૂત પિશાચો સ્મશાનમાંથી સીધા સંસદભવનમાં આવી ગયા છે. ગામનો ઉતાર, જે ઉકરડામાં જતો હતો એ હવે ઉચ્છ કક્ષાના અધિકારી/મંત્રી તરીકે સેવાઓ આપે (હકીકતમાં લે ) છે. મનની વાતો કર્યા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ બધા મનમાની પર આવી ગયા છે.

રામ અવતાર વખતે દેવગણ આપની ઈર્ષા કરતા કહેતા હતા કે, શિવજીને કેવી કૃપા કે શ્રીરામ લીલા જોવા માટે એમને તો ત્રણ નેત્રો છે. પણ આજે આપ અહીં શ્રીરામના નામે ચાલતા રમખાણોને એક ઝીણી આંખથી પણ નહિ સાંખી શકો.

અંતમાં આશા રાખું કે આ પત્ર આપનું સરનામું બદલાય એ પહેલા પહોંચે. બાકી જો કોઈ કલાકારે કૈલાશની તળેટીમાં ધ્યાનનું ધતિંગ કરતો એક ફોટો પડાવી લીધો તો સમજો આ પર્વતરાજનું નવું નામકરણ નક્કી. અને આ વખતે તો ચશમા પહેરી રાખવાની ભૂલ પણ નહિ કરે અને મૃગચર્મ – ત્રિપુંડના પુરા ગેટઅપ સાથે આવશે. ( મૃગચર્મ મોહમયી નગરીનો કયો નટ લાવી આપશે એ આપ જાણો છો ). બે ઘડી તો નંદી અને ગણો પણ ભ્રમિત થઇ જશે કે, અરે પ્રભુ તળેટીમાં કેમ બેઠા છે.

હે મહાદેવ, આપ પ્રલય પ્રક્રિયા શીઘ્ર કરો એવી પ્રાર્થના.

લિ.

આપના ચરણકમળમાં સમર્પિત,

એક સ્થિતપ્રજ્ઞ શિષ્ય.


Category : Gujarati Poem

મારી કવિતા



ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;
મારી કવિતામાં નથી,
મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;
મારી કવિતામાં નથી,

ફકત સુરા સાકીની કરે વાહ વાહ,
 એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,
સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,
કાંઈ આભાસીપણું નથી,

પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,
કે અજ્ઞાનનું આંધળાપણું નથી,
કોઈ દંભીનો વાણીવિલાસ, પ્રપંચીનો પાખંડ,
પોતીકું કે પારકાપણું નથી,

આનંદ ઉલ્લાસ અને આત્મચિંતન છે,
રાવ રોકકળ અને રોતલપણું નથી,
રમત રોમાન્ચ અને રમ્યતા છે,
રિક્ત રોષ-દોષ અને ઉચ્છુણખલપણું નથી,

વિરાટ છું હું, તો એવોજ વિચાર આપીશ,
કોઈ અગણ્ય અલ્પ અણુ નથી,
શબ્દોમાં જીવ જગત અને ઈશ્વરને આવરી લીધા,
‘હૃષી’ એય શું ઘણું નથી?



મારા મતે સારો સર્જક એ છે કે જે વાચક માટે નહિ પણ ‘વિચાર’ માટે સર્જન કરે છે. જો વપરાશકારોની ઈચ્છાને અનુરૂપ જ વસ્તુ બનાવવાની હોત તો એપલ કંપની, એક તરબૂચ જેવી બનવાના બદલે હજુ પણ ચણીબોર જેટલી જ હોત. 😉

એ જ રીતે જો વાહવાહી માટે જ કાંઈ લખવું હોત તો હું પણ હજુ ‘ચાંદી જેસા રંગ, સોને જેસે બાલ…’ પર જ અટક્યો હોત. પણ ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે સદબુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને વિવિધ વિચારોને શબ્દોમાં મુકવાની સમજણ મળે જાય છે.

ઘણીવાર વાચકો લેખકના વ્યંગ અને વ્યક્તિગત વિચાર વચ્ચેનો ભેદ સમજતા નથી. તમે કોઈનો વ્યંગ કરો એનો મતલબ એવો નથી કે તમે એનો વિરોધ કરો છો. ખરેખર તો વિરોધ એ વ્યંગની અંદર છુપાયેલા વિચારનો હોય છે, વ્યક્તિ કે સંસ્થા કે સમાજનો નહિ. જયારે કોઈ આધ્યાત્મિક અથવા બીજા કોઈ ગહન વિષય પર રચના હોય ત્યારે જ એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય કે સંવેદના હોય છે. બાકી બધી વ્યંગ રચના તો ફક્ત નિર્દોષ હાસ્ય માટે છે.

હું દંભી નથી અને મારી કોઈ સ્પેસિફિક ઈમેજ – ચોક્કસ માનસિક છબી ઉભી કરાવવાનો ઈરાદો નથી, તેથી હું કોઈ પણ વિષય પર બેધડક મારો સ્વતંત્ર અભિપ્રાય આપી શકું છું.

કવિતાનું માધ્યમ પસંદ કરવા પાછળનો આશય એટલો જ કે, બહુ ઓછા લોકો કવિતા વાંચે છે. વળી, વાંચે એમાંથી ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જો તમે સીધા વાક્યોમાં કોઈ વ્યક્તિ, વિચાર કે દુષણ વિષે બોલો તો આજના સમયમાં સાવધાની રાખવી પડે એમ છે. પરંતુ કવિતામાં તમે કાંઈ પણ કહી શકો છો અને મુર્ખાઓની મગજમારી માંથી છટકી શકો છો. 😉

અંતમાં એ પણ કહેવાનું કે કોઈ ભાષા બચાવવાના, સમાજ સુધારણાના, વ્યસન મુક્તિના, ધર્મ શુદ્ધિના કે જ્ઞાન-પ્રેરણાના ઉપદેશો આપવાના કોઈ પણ ઝંડા લઈને આપણે ફરતા નથી. હું તો બસ બબૂચકોથી બેફિકર રહીને અસ્તિત્વનો આનંદ લૂટું છું અને લૂંટાવું છું. મસ્ત, મોજીલા અને મેધાવી હોય એ જ આવે… પપ્પુઓ માટે પ્રવેશનિષેદ્ધ. 😉

Category : Gujarati Poem

કબૂતરોના માળા



સરકાર એક માંદલી ગાય,  અધિકારી  બધા પાડા જોયા,
સેવાના નામે દેશ લૂંટવા, ઉતરતા મંત્રીઓના ધાડા જોયા,

માતૃભૂમિ વેચી બનાવેલા, મંત્રીના શ્વેત મહેલ જેવા માળા જોયા,
નોટબંધીના ચશ્મા પહેરી, પ્રજાના પરસેવાના ટીપાં કાળા જોયા,

ખાયકીના ખુમચા પર ખટમધુરા ભ્રષ્ટાચારી ભાણા જોયા,
સ્વચ્છ ભારતની વાતો કરતા, મંત્રીઓ બહુ શાણા જોયા,

બીલો બનાવતા બનેવીઓ તો ક્યાંક મંત્રીના સાળા જોયા,
જનસેવામાં નીચ નેતાઓના પ્રત્યક્ષ કૌટુંબિક ફાળા જોયા,

નેતા તો બધા કલાકાર, ને પ્રજામાં બધા અંધ કે કાણા જોયા,
ગામે  ગામ  ગજાવી ગવાતા, વ્યર્થ  વિકાસના  ગાણા જોયા,

રસ્તા વચ્ચે ખાડા કે ખાડા વચ્ચે રસ્તા?, ‘હૃષી’ ખબર પડે તો કેજો,
કઈંક ખોદવામાં તો કઈંક પુરવામાં, વેડફાતા અમારા નાણા જોયા,

મનગમતા  મૂરખના  પગે,  અહીં  અમે  લોક  પડેલા  આડા  જોયા,
નપુંસકોથી શું વળે ‘હૃષી’, ઘેરઘેર બસ ગભરુ કબૂતરોના માળા જોયા.



પ્રજાસત્તાક એટલે કે જ્યાં પ્રજાના હાથમાં સત્તા હોય. પણ અહીં તો પ્રજાના હાથમાં સત્તા નહિ શકોરું છે અને એ પણ કાણું. ( ‘ગ’ વર્ગના ગુજરાતીઓ માટે – શકોરું એટલે તુચ્છ ભિક્ષાપાત્ર )

આજે ફરી એક વાર,

– દેશના વીર જવાનો વાહિયાત રાજનેતાઓને સલામી ભરશે

– વીર ઘોડેસવાર સેનાનીઓ ગધેડાઓની જમાતની આસપાસ ઘૂમશે

– વિદેશી ફટાકડાનું દેશી નામાંકરણ સાથે પ્રદર્શન થશે

– દેશમાટે બેઝિઝક જીવન સમર્પિત કરવા તૈયાર યોદ્ધાઓ, જંગલી અને જડભરતોની જમાત કે જેણે પોતાની જીભ હલાવવા સિવાય કોઈ કામ નથી કર્યું  એને સલામી આપશે

– જે દુષ્ટોની દ્રષ્ટિ પણ જો આપણા પવિત્ર રાષ્ટ્રધ્વજ પર પડે તો એમના શીશ ધડથી અલગ થઇ જવા જોઈએ એવા ધૂર્તરાષ્ટ્રો, દુર્યોધનો અને દુઃશાસનો જેવા શેતાનોના હાથે ધ્વજ ફરકાવવામાં આવશે.

– વિકૃત અને ફક્ત વાણીવિલાસમાં રાચતા રાજનૈતિક રાક્ષસો પર વિમાનો દ્વારા પુષ્પવર્ષા થશે

– દેશના નટસમ્રાટો, નીચ વાસ્તવિકતા એવી નાટ્યાત્મકતાથી રજુ કરશે કે જાણે આ નભોમંડળમાં આ જ એક ‘સ્વર્ગાદ અપી ગરિયસી’ હોય

– રાજનેતા રંગલાઓ આ રંગમંચ પર નવા નવા રંગબેરંગી વસ્ત્રપરિધાનોમાં પોતાના કાળા કરતૂતો અજબ રીતે છુપાવી દેશે

– દેશના કહેવાતા સારસ્વતો, બુદ્ધિના બળદોના હાથે પદવીઓ ગ્રહણ કરશે  ( કહેવાતા એટલા માટે કે જે કોઈ પણ વ્યક્તિ આવા કુકર્મીઓના હાથે સન્માનિત થવાને પોતાનું સૌભાગ્ય માને છે એને હું નીચલી કોટિના ગણું છું અને આ માં સરસ્વતીની કૃપા સંપદાનું હળહળતું અપમાન છે )

– અને હંમેશની જેમ, આજે પણવ્યંઢળ વસ્તી તાળીઓ પાડતી રહેશે

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલી પહેલી સલાહ છે “કલૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ … ( ગીતા 2.3 )” –  હે પાર્થ, તું નપુંસકતાને વશ ન થા ….. 

કારણકે નિર્ભય વ્યક્તિઓ જ એક શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

ખસી કરેલા કે ખરીદાયેલા ગાંડાઓનું ગણતંત્ર કેવું હોય?

– જો આ પ્રશ્ર્નનો જવાબ તમને ખબર ન હોય તો તમે એક નંબરના _______ છો

– જવાબ ખબર હોય પણ એને બદલવા તમે કાંઈ કરતા નથી તો ઉપરોક્ત વિશેષણો તમારા જેવા માટે જ છે